મોરબી જિલ્લામાં સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા ઈસમો વિરુદ્ધ કડક પગલાં લેવાશે: એસપી

સોશિયલ મીડિયાએ સાંપ્રત સમયનું સૌથી મોટું સશક્ત માધ્યમ છે ત્યારે મોરબી જીલ્લાની જનતાને જાણ કરતા મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ એક નિવેદનમાં જણાવ્યું કે અમુક ઈસમો દ્વારા જાહેર શાંતિ ભંગ કરવા તેમજ કોમ–કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશ્યલ મીડીયા ઉપર શાંતી ભંગ કરતી પોસ્ટ મુકી અફવા ફેલાવવામાં આવી રહી છે.આથી પોલીસ વડાએ આવી કોઇ અફવા ઉપર ધ્યાન ન આપવા અને શાંતિ પૂર્ણ મહોલ બનાવી રાખવા જણાવ્યું છે. વધુમાં આવી કોઇ પણ વ્યકિત અફવા અંગે ગેરકાયદેસર પ્રવૃતી કરશે અથવા કોઇપણ વ્યકિત મારફતે કરાવશે તો તેઓ વિરૂધ્ધ પોલીસ દ્વારા કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

તેમજ મોરબી જીલ્લાના સાયબર સેલ તથા મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો દ્રારા વોટસએપ, ઇન્ટાગ્રામ, ફેસબુક, ટ્વીટર અને સ્નેપચેટ જેવી તમામ સોશ્યલ સાઇટસ ઉપર અલગ અલગ ટીમો બનાવી આવી પ્રવૃતીઓ કરતા ઇસમો ઉપર સતત બાજ નઝર રાખવામાં આવેલ છે, જો કોઇ વ્યકિત આવી પ્રવૃતી કરતા માલુમ પડશે તો તેઓ વિરૂધ્ધમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ અંતમાં એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું છે.