વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મતગણના ૧૯મી એપ્રિલના રોજ હાથ ધરાશે

મોરબીઃ સહકારી મંડળીઓ, મોરબીના જિલ્લા રજીસ્ટ્રાર ડી.વી.ગઢવીની અખબારી યાદીમાં જણાવાયા અનુસાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરની સામાન્ય ચૂંટણી નિયામકશ્રી, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના જાહેરનામા ક્રમાક:બસર/૦૧/થ/સ-૨/૨૩૯૯/૨૦૨૧તા:૧૩/૧૦/૨૦૨૧ થી જાહેર થયેલ હતી. ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને સહકારી ખરીદ-વેચાણ વિભાગનું મતદાન તારીખ ૧૧મી જાન્યુઆરી-૨૦૨૨ ના રોજ યોજાયેલ હતું.

ખેડૂત વિભાગની મતદાર યાદી સામે નામદાર ગુજરાત હાઇકોર્ટ-અમદાવાદ સમક્ષ દાખલ થયેલ ત્રણ પીટીશનોના કારણે ખેડૂત વિભાગના તમામ મતપત્રોની મતગણતરી પૂર્ણ થયેલ ન હતી. વેપારી વિભાગ અને ખરીદ-વેચાણ વિભાગની તારીખ ૧૨મી જાન્યુઆરી-ર૦૨૨ ના મતગણતરી પૂર્ણ કરી પરીણામ જાહેર કરવામાં આવેલ હતું. તારીખ ૧૨મી એપ્રિલ-૨૦૨૨ ના રોજ નામદાર ગુજરાત હાઇકોર્ટ-અમદાવાદ દ્વારા ખેડૂત વિભાગની મતદાર યાદી સબંધે જે પીટીશનો દાખલ થયેલ તેમાં ઓરલ ઓર્ડર કરવામાં આવેલ છે.

ખેડૂત વિભાગના મતગણતરી માટે બાકી રહેતા મતપત્રો પૈકી જે મતપત્રોની ગણતરી કરવાની થાય છે તેની મતગણના તારીખ ૧૯મી એપ્રિલ-૨૦૨૨ ના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરનું કાર્યાલય, મુ.ચંદ્રપુર, તા.વાંકાનેર ખાતે સવારે ૯-૦૦ કલાકથી હાથ ધરાનાર છે, જેની ખેડૂત વિભાગના ઉમેદવારો, ખેડૂત વિભાગના મતગણતરી એજન્ટોએ નોંધ લેવા સહકારી મંડળીઓ, મોરબીના જિલ્લા રજીસ્ટ્રાર ડી.વી.ગઢવી દ્વારા જણાવાયું છે.