માળીયાના સરવડ ખાતે તાલુકા આરોગ્ય મેળાને ખુલ્લો મુકતા મંત્રી બ્રિજેશભાઇ મેરજા

આરોગ્યની સુખાકારી માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલઃ મંત્રી બ્રિજેશભાઇ મેરજા

        સમગ્ર રાજ્યમાં તાલુકા સ્તરે તાલુકા આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં સરવડ ખાતે આરોગ્ય મેળાનું તા.૨૧ એપ્રિલ, ગુરુવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં મોરબી-માળીયાના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ આરોગ્ય મેળાને ખુલ્લો મુક્યો હતો.

આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં તમામ તાલુકા મથકોએ આરોગ્ય મેળાઓ યોજાઇ રહ્યા છે. આપ સૌને આરોગ્યની સુખાકારી મળે તેના માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આરોગ્ય મેળા થકી રાજ્ય સરકાર લોકોની સુખાકારીમાં વધારો થાય તેમજ આયુષ્માનભારત કાર્ડ, કોરોના રસીકરણ, લેબોરેટરી, ચિકિત્સા અને નિદાન નિરામય ગુજરાત અંતર્ગત ચેપી અને બિનચેપી રોગોનું નિદાન સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવી રહી છે.

વધુમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ આરોગ્ય અંગે વિશેષ ચિંતિત છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ રાજ્યમાં લોકોનું આરોગ્ય વધુ સારુ બની રહે તે માટે તાલુકા સ્તરે આરોગ્ય મેળાઓ યોજી રહ્યા છે. જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં તાલુકા સ્તરે જ લોકોને આરોગ્યની વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે આરોગ્ય મેળાઓ યોજાઇ રહ્યા છે. આ તકે મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ ઉપસ્થિત લોકોને વ્યસન મુક્ત થવા અપીલ કરી હતી.

આરોગ્ય મેળામાં વિનામુલ્યે તપાસ, વિનામુલ્યે દવાઓ, હેલ્થ આઇડી, આયુષ્યમાનભારત કાર્ડ, ટેલી કન્સલ્ટેશન, ડાયાબિટીસ, હાઇ બી.પી., મોતીયાબિંદની તપાસ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

        સરવડ ખાતે યોજાયેલ તાલુકા આરોગ્ય મેળામાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, અગ્રણીઓ મણીલાલ સરડવા, બાબુભાઈ હુંબલ, અશોકભાઈ બાવરવા, નવનીતભાઈ સરડવા, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, મેડીકલ ઓફીસરઓ હાર્દિક રંગપરીયા, ડી.જી. બાવરવા. નિરાલી ભાટીયા સહિત માળીયા તાલુકાના આરોગ્ય સ્ટાફ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.