અક્ષરધામ હુમલામાં સેંકડો લોકોને રક્ષણ પુરૂ પાડનાર નારણકા ગામના પોલીસકર્મીનું અવસાન

અક્ષરધામ હુમલામાં સેંકડો લોકોને રક્ષણ પુરૂ પાડનાર તથા ત્રાસવાદીને શોધવાની કવાયત સ્ટીંગ ઓપરેશનમાં ફરજ બજાવી ચુકેલ નારણકા ગામના પોલીસકર્મીનું અવસાન

(અહેવાલ: જયેશ બોખાણી દ્વારા) મોરબી તાલુકા નારણકા ગામના વતની અને અમદાવાદમાં જીવરાજ પાર્કમાં રહેતા પરસોતમભાઈ આશારામભાઈ શ્રીમાળીનું દુખદ અવસાન થયેલ છે. તેઓ હાલ નાગરિક સંરક્ષણ દળમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમના અવસાનથી પોલીસ કર્મી તથા પરિવારમાં ગમગીની વ્યાપી છે.

સન ૧૯૮૧ થી ૧૯૮૩ સુધી નારણકા ગામની હાઈસ્કૂલમાં આચાર્યશ્રી મનજીભાઈ વાધડિયા પાસે અભ્યાસ કરેલ પરસોતમભાઇ અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર હતા. ૧૯૮૪માં ગુજરાત પોલીસમાં ભરતી થયેલ. ૧૯૯૦ થી ૧૯૯૧માં CBI (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન) કેન્દ્રમાં ફરજ બજાવી ચુક્યા હતા. ૧૯૯૨માં NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ-બ્લેક કમાન્ડો) નવી દિલ્હી ખાતે તેમણે ટ્રેનિંગ લીધી હતી. ૧૯૯૭ થી ૨૦૦૨ મંત્રીઓની સલામતી શાખામાં ફરજ બજાવી ચુક્યા હતા.

ગર્વની વાત તો એ હતી કે, ૨૦૦૨માં અક્ષરધામ હુમલામાં સેંકડો લોકોને રક્ષણ પુરૂ પાડવામાં તથા ત્રાસવાદીને શોધવાની કવાયત સ્ટીંગ ઓપરેશનમાં પણ પરસોતમભાઇ શ્રીમાળીએ ફરજ બજાવી હતી. તદઉપરાંત ATS (Anti-Terrorism Squad)માં ફરજ બજાવી અનેક ગુન્હેગારોને પકડી પાડ્યા હતા. સરકારશ્રી તરફથી પરસોતમભાઇ શ્રીમાળીને અનેક ઈનામો આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ત્યારે બહુ લાંબા સમયથી બિમાર પરસોતમભાઈનું ગઇકાલે રાત્રે દુખદ અવસાન થતા હાલ અંતિમક્રિયા માટે અમદાવાદથી નારણકા લય આવી રહ્યા છે.