કોમનમેન ફાઉન્ડેશન-મોરબી દ્વારા જ્ઞાન,દાન અને સન્માનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

બાળ ઉછેર બે હાથમાં પુસ્તકની 25000 નકલના વેચાણના ઊંચા આંકને આંબવામાં યશભાગી દાતાઓનો ઋણ સ્વીકાર કરાયો

મોરબી નીલકંઠ વિદ્યાલય ખાતે કોમનમેન ફાઉન્ડેશન દ્વારા જ્ઞાન દાન અને સન્માનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો જેમાં ડો.સતિષ પટેલે લખેલ પુસ્તક બાળ ઉછેર બે હાથમાં ની રેકોર્ડબ્રેક પચીસ હજાર નકલ વેંચાણના ઉંચા આંકને આંબવાના અવસરને વધાવવામાં આવ્યો, મનાવવામાં આવ્યો, જેમાં અગ્રણી ઉદ્યોગકાર અને સમાજ શ્રેષ્ઠી ગોપાલભાઈ ચારોલાએ 1000 બુક સ્પોન્સર કરેલ છે એમનું અને એમના પરિવારનું અદકેરું સન્માન કરાયું હતું.

તેમજ આ ઉંચ આંકને આંબવામાં જેમને સહયોગ આપેલ છે એવા લોકો જેમાં બ્રિજેશભાઈ મેરજા પંચાયત મંત્રી એ પોતાની ધારાસભ્ય તરીકે મળતી ગ્રાન્ટમાંથી મોરબી અને માળીયા તાલુકાની 260 જેટલી પ્રાથમિક શાળાઓમાં બબે પુસ્તક અર્પણ કરવામાં આવેલ,એવી જ રીતે અજય લોરીયા ચેરમેન બાંધકામ સમિતિ દ્વારા મોરબીના આંગણવાડી કેન્દ્રોમાં બાળ ઉછેર બે હાથમાં પુસ્તક આપેલ,એવી જ રીતે અનેક સહયોગી દાતાઓએ આ પુસ્તકની ઘર ઘર સુધી પહોંચાડવામાં અદકેરું યોગદાન આપેલ છે એ તમામ દાતાઓના ફોટોગ્રાફ તેમજ વિડીયોની ડોક્યુમેન્ટરી દ્વારા સન્માનિત કરાયા હતા.

આ કાર્યક્રમમાં બ્રિજેશભાઈ મેરજા અન્ય કાર્યક્રમમાં રોકાયેલા હોય આવી શક્યા નહોતા પણ શુભેચ્છા સંદેશ દ્વારા શુભેચ્છા પાઠવી હતી. પૂજ્ય દામજી ભગત,ડો. દિપકભાઈ બાવરવા પ્રેસિડન્ટ ઓફ આઈ.એમ.એ. ડો.મનુભાઈ કૈલા પ્રમુખ ઉમિયા સમૂહ લગ્ન સમિતિ તેમજ આ કાર્યક્રમના દાતા ડી.એલ.રંગપડીયા અગ્રણી ઉદ્યોગકાર નિલેશભાઈ જેતપરિયા,હરેશભાઇ બોપલીયા, વિનોદભાઈ ભાળજા,વગેરે સિરામિક એસોસિએશનના તમામ પાંખના પ્રમુખો અને અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ ડો.જ્યંતીભાઈ ભાડેસીયા પશ્ચિમ ક્ષેત્ર સંઘ ચાલકજી વગેરેએ કોમનમેન ફાઉન્ડેશનની આ પ્રવૃત્તિ બાલ ઉછેર બે હાથની આ વિકાસ યાત્રાને અને તમામ દેલર દાતાઓની દાતારીને બિરદાવી હતી.

ડો.સતિષભાઈ પટેલે જણાવ્યું હતું કે મોરબી જેમ ઉદ્યોગક્ષેત્રે અગ્રીમ હરોળમાં છે એમ સાહિત્ય ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે,નામી લેખકોના પુસ્તકો પણ આ ઉંચાઈ સુધી નથી પહોંચી શકતા ત્યારે મોરબીની સાહિત્યપ્રેમી જનતાએ બાળ ઉછેર બે હાથમાં પુસ્તક વાંચ્યું છે, વાગોળ્યું છે અને વખાણ્યું છે, ત્યારે આ પ્રસંગે પુસ્તકને સહયોગ આપનાર તમામ દાનવીર દાતાઓનો આ તકે ઋણ સ્વીકાર કરું છું.” રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા એ.આર.ચંદ્રાસલા મંત્રી કૉમનમેન ફાઉન્ડેશન તેમજ જીત વડસોલા અને નવનીત કાસુન્દ્રા ટ્રષ્ટિ નિલકંઠ વિદ્યાલયે ખુબજ જહેમત ઉઠાવી હતી.