મોરબી જિલ્લાના સફાઇ કામદારોને ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા અનુરોધ

           રાજ્યના સફાઇ કામદારો તથા તેઓના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ મળી રહે તે માટે રાજ્યમાં ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રૂ.૧,૨૦,૦૦૦/- ની નાણાંકીય  સહાય મળવાપાત્ર છે. જે અરજદારને ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. જે અન્વયે નાણાંકીય વર્ષ – ૨૦૨૨-૨૩ દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેવા અરજદારોએ https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે. અને પોર્ટલ ઉપર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ માત્ર ઓનલાઈન સબમીટ કરવાના રહેશે.

વધુ માહિતી માટે મોરબીના જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને જિલ્લા નિયામક, અનુ.જાતિ કલ્યાણ, જિલ્લા સેવા સદન ની કચેરી, કચેરી નં.૪૬/૪૭, સો ઓરડી, મોરબી ખાતે સંપર્ક કરવા એ.એમ.છાસિયા, જિલ્લા મેનેજર, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ મોરબીની યાદીમાં જણાવાયું છે.