મોરબી: ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવા કાર્યક્રમો યોજાશે

ધોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓને કારકિર્દી વિષયક નિર્ણય લેવામાં માર્ગદર્શન મળી રહે તે હેતુથી રાજ્ય સરકારની નવી પહેલના ભાગરૂપે માધ્યમિક શિક્ષણ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત પ્રેરણાથી જિલ્લા- તાલુકા કક્ષાના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું છે.

આ અંગે મોરબીના જિલ્લા શિક્ષણધિકારીની સત્તાવાર જાહેર કરેલી યાદી અનુસાર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ 30 મેના રોજ મોરબી ખાતે ધી વી.સી.ટેકનીકલ હાઈસ્કુલના મિડલ હોલમાં યોજાશે. જ્યારે જ્યાં તા.4 જુનના રોજ હળવદ ખાતે રાજોધરજી હાઈસ્કુલ, વાંકાનેરમાં મહોમદી લોકશાળા,ટંકારામાં એમ.પી.દોશી વિધાલય અને માળિયામાં કે.પી.હોથી હાઈસ્કૂલ ખાતે તાલુકા મથકનો કાર્યક્રમ યોજાશે. આ તમામ કાર્યક્રમો સવારે 10 થી 12 સુધીનો રહેશે.

જેમાં 20 મિનિટ સ્થાનિક તજજ્ઞનું વક્તવ્ય તથા 75 મિનિટ વિવિધ વિદ્યાશાખાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઓનલાઈન માર્ગદર્શન અપાશે. 10 મિનિટ પ્રશ્નોત્તરી થશે. શિક્ષણાધિકારીની કચેરીના સંકલનમાં સરકારી ITI કોલેજ, સરકારી એન્જિનિયરિંગ કોલેજ, રોજગાર અધિકારીની કચેરી, સરકારી મેડિકલ કોલેજ તેમજ ખેતીવાડી, પશુપાલન સહિત કચેરીઓ સહયોગી થશે.9 થી 12ના છાત્રો અને વાલીઓને કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની યાદીમાં જણાવાયું છે.