પ્રાકૃતિક ખેતી થકી અન્ય ખેડૂતો કરતાં ૩૦ ટકાથી વધુ વળતર મેળવી રહયા છે શિવપુરના ખેડૂત પિતા-પુત્ર

સરકારની સબસિડીથી ૬૦૦ કેરીના રોપાનું વાવેતર કર્યુ અને આજે અમને મળી રહ્યુ છે મબલખ ઉત્પાદન વિપુલભાઇ નરભેરામભાઇ ગામી

બાગાયતી ખેતીમાં રોપાની ખરીદીથી લઇને ફળના વેચાણ સુધી સરકાર ખેડૂતોની સાથે

        સરકારની સબસીડીથી કેરીના રોપાનું વાવેતર થાય અને તેમાં પ્રાકૃતિક ખેતી દ્વારા તેનો ઉછેર થાય ત્યારે જે મિઠાશ કેરીમાં અને તેના અર્થોપાજનમાં ભળે તેનું ઉતમ ઉદાહરણ એટલે હળવદ તાલુકાના શિવપુરના ખેડૂત પિતા-પુત્રની જોડી.

        શિવપુરના નરભેરામભાઇ ગામીએ પોતાના ખેતરમાં સરકારની સબસીડીથી ૬૦૦ રોપાનું વાવેતર કર્યુ. આ રોપાઓને ઉછેરવામાં તેમણે અને તેમના પુત્ર વિપુલભાઇ ગામીએ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપ્યું. દેશી ગાય આધારીત ખેતી કરતા હોવાથી તેમને ગાયના નિભાવ ખર્ચ માટે પણ સરકારશ્રીની યોજનાનો લાભ મળી રહ્યો છે.

        સરકાર દ્વારા પાણી બચાવવાના ઝુંબેશના ભાગરૂપે જ્યારે ટપક સિંચાઇ પદ્ધતિને ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ત્યારે તેમણે પણ સિંચાઇ માટે ટપક સિંચાઇ પધ્ધતિને અપનાવી જેના માટે પણ સરકારે સબસીડી આપીને ટેકો આપ્યો.

        રાજ્ય સરકારની આત્મા સંસ્થા સાથે સીધા જોડાયેલા વિપુલભાઇ સુભાષ પાલેકરજી પ્રાકૃતિક ખેતીના સમર્થક છે. ફાર્મર ફ્રેન્ડ તરીકે પણ આજુબાજુના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપે છે.

        વિપુલભાઇ ગામી જણાવે છે કે, સરકારની સબસીડીથી અમે કેરીનું વાવેતર કર્યુ અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કેરીનું ઉત્પાદન કર્યું. આ દરમિયાન સરકાર દ્વારા ટપક સિંચાઇ પદ્વતિ માટે, દેશી ગાયના નિભાવ ખર્ચ વગેરે માટે વિવિધ યોજનાઓ હેઠળ લાભ મળ્યો ઉપરાંત બોકસ પેકિંગની સહાય માટે પણ અમે અરજી કરી છે. આ પ્રાકૃતિક ખેતી અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી અમે સારૂ એવું અર્થોપાજન મેળવી રહ્યા છીએ.

        ખેડૂત અગ્રણી નરભેરામભાઇ ગામી જણાવે છે કે, સરકારની સહાય તો પાયામાં જ છે. ઉપરાંત સંપૂર્ણપણે અળસીયાની ખેતી અને પ્રાકૃતિક  ખેતીની પદ્વતિથી કેરીની ખેતી કરતા હોવાથી અમારી કેરીની બજારમાં વિશેષ માંગ છે. એટલું જ નહીં પ્રાકૃતિક ખેતી કરતાં હોવાથી પ્રાથમિક ખર્ચ ફક્ત ૨૫ ટકા જેટલો જ થાય છે. ઉપરાંત અન્ય ખેડૂત કરતાં ૨૦૦-૩૦૦ રૂપિયાનો વધારે ફાયદો પણ થાય છે.

        સરકાર ધરતીપુત્રોની આવક બમણી કરવાના હેતુથી વિવિધ યોજનાઓ અને સહાય દ્વારા ખેડૂતોની પડખે ઉભી છે ત્યારે બાગાયતી ખેતી દ્વારા ખેડૂતો વધુ આવક મેળવી શકે છે. સરકાર દ્વારા રોપાની ખરીદીથી ફળ તૈયાર થઇને બજાર સુધી પહોંચે ત્યા સુધી વિવિધ સહાય અને સહકાર આપવામાં આવી રહયો છે. જેથી ખેડૂતોની આવક બમણી થઇ શકે અને ખેડૂતો સદ્ધર બની શકે.