ખરાબાની જમીન પર કબજો કરતા ગ્રામ પંચાયતની રજૂઆતના અનુસંધાને હુકમ
વિશાલ જયસ્વાલ હળવદ : સુંદરગઢની સરકારી જમીન પર ફુલછોડ વાવવા માટે આપેલી જમીન પર રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ ચરાડવાએ બાજુમાં રહેલી વધારાની જમીન પેશકદમી કરતા હળવદ મામલતદારે રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટને જરૂરી પુરાવા સાથે હાજર રહેવા તારીખ 21-7ના ફરમાન આપવામાં આવ્યું છે. અને આ ફરમાનનો અનાદર કરતા આ બાબતે કોઇ રજૂઆત કરવા માંગતા ન હોવાનું માની લેવાનું જણાવ્યું છે. સુંદરગઢ ગામે આવેલી સરકારી ખરાબા નંબર 528 પૈકી આશરે 8 એકર પર રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ બિનઅધિકૃત રીતે કબજો જમાવતા સુંદરગઢ ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી આ જમીન ખુલ્લી કરાવવા તેમજ તેનો ગામ હેતુ માટે ઉપયોગ કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે.




જેમાં સુંદરગઢ ગ્રામ પંચાયત દ્વારા હળવદ મામલતદારને આ ખરાબો ખુલ્લો કરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જે અનુસંધાને સુંદરગઢની રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટની જમીનની અધિકારીઓ અને પંચોએ રૂબરૂ મુલાકાત લઇ આશરે આઠ એકર જમીન પર કબજો હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી કરીને રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટને તારીખ 21-7-2022ના બપોરે 3:30 કલાકે મામલતદાર કચેરી ખાતે હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. જો આ હુકમનો રાધાકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ અનાદર કરશે તો આ બાબતે કાંઇક રજૂઆત કરવા માંગતા નથી તેવું મામલતદાર કચેરી માની લેશે તેવું નોટિસમાં જણાવવામાં આવ્યું છે.
