હળવદ શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના અને નવા હોદેદારોનો આવકાર કાર્યક્રમ યોજાયો

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. મા સરસ્વતીની વંદના દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. કેતનભાઈ વડાવિયા દ્વારા સહુ અતિથિ અને સારસ્વત બંધુંભગીની ઓનું સ્વાગત કરવામાં આવેલ. કાર્યક્રમના મુખ્ય અતિથિ પ્રવીણભાઈ સોનગ્રા ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ મોરબી દ્વારા પ્રસંગોચિત શાળામાં શિક્ષકની ભૂમિકા વિષે ઉદબોધન કરવામાં આવ્યું. કાર્યક્રમના મુખ્ય વક્તા ભક્તિનંદન સ્વામીએ વક્તવ્યમાં પોતાની આગવી અને હળવી શૈલીમાં ગુરુનું મહત્વ અને વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યોનું સંવર્ધન થાય અને રાષ્ટ્ર નિર્માણ નું દાયિત્વ શિક્ષકોના શિરે છે એવી સુંદર અને સચોટ વાત કહી.

કાર્યક્રમની સાથે સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ હળવદ તાલુકાના સંચાલકજી દ્વારા નવ નિયુક્ત કારોબારી અને જવાબદારો ની ઘોષણા કરવામાં આવી જેમાં હળવદ તાલુકાના અધ્યક્ષ તરીકે વાસુદેવભાઇ ભોરણિયા, મંત્રી તરીકે રાજુભાઇ ગોહિલ, રાજ્ય પ્રતિનિધિ તરીકે કરશનભાઈ ડોડીયા તથા જિલ્લા પ્રતિનિધિ તરીકે અનિલભાઈ વાઘેલા અને નટવરભાઈ પટેલ, તાલુકાના કારોબારી તરીકે હરમિતભાઇ પટેલ, નિકુલભાઈ પટેલ, નરેશભાઈ જાદવ, ચેતનભાઈ એરવાડિયા અને અવિનાશભાઈ ડામોરનો સમાવેશ કરાયો. સ્વતંત્રતા કા અમૃત મહોત્સવ કાર્યક્રમ દ્વારા આગામી પહેલી ઓગષ્ટે તાલુકાની તમામ શાળામાં ઉજવણી કરવામાં આવે તે માટે સૂચક માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમના અંતમાં હિતેશભાઈ જાદવ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ.