યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વાલ્મિકી જયંતિની અનોખી ઉજવણી : વાલ્મિકી સમાજની બાળાઓનું પૂજન સાથે સોનાની વસ્તુની ભેટ આપી

વર્ષોથી સમાજમાંથી મેલું ઉપાડવાની જવાબદારી નિભાવવાની સાથે સમાજના મુખ્ય પ્રવાહમાં ભળવવા માટે હજુ પણ સંઘર્ષ કરતા વાલ્મિકી સમાજને યંગ ઇન્ડિયા ગ્રુપે આજે સમાજમાં મોભાદાર સ્થાન આપવાનો સરાહનીય પ્રયાસ કર્યો

મોરબી : મોરબીમાં સર્વધર્મ સમભાવની ભાવનાને કાયમ દીપાવી લોકોમાં દેશભાવના અંખડ રાખવામાં સક્રિય પ્રયાસો કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે મહર્ષિ વાલ્મિકીની જન્મ જયંતિની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે વાલ્મીકી સમાજની બાળાઓનું પૂજન કર્યું હતું. તેમજ વાલ્મીકી સમાજની બાળાઓને શુદ્ધ આરોગ્યપ્રદ આહારનું ભોજન કરાવી સોનાની મોંઘી વસ્તુઓ ભેટ આપી આ સમાજનો વિશેષ આદર સત્કાર કરી તેમને સમાજમાં મોભાદાર સ્થાન આપવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આપવાના આનંદ હેઠળ મહર્ષિ વાલ્મીકીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાલ્મીકી જયંતિ નિમિતે આજે વાલ્મિકી સનાજના વસાહતમાં જઈ વાલ્મીકી સમાજની બાળાઓની આદર-સ્તકાર અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પૂજા કરી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ સભ્યોએ વાલ્મીકી સમાજની બાળાઓની પૂજા કરવાની સાથે ભોજન કરાવ્યું હતું. તેમજ આ બાળાઓને સોનાની કિંમતી ભેટ સોગાદ આપવામાં આવી હતી અને મહર્ષિ વાલ્મીકીના જીવનમાંથી બાળકો શીખ લઈને દેશ અને સમાજનો સમતોલ વિકાસ કરે તેવો આ કાર્યક્રમ થકી મેસેજ અપાયો હતો.

યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યોએ વાલ્મીકી જયંતિ નિમિત્તે સમાનતા, એકતા અને બધુંતાની ભાવના કાયમ માટે જળવાઇ રહે તે માટે વાલ્મીકી સમાજના લોકો સાથે સંવાદ કરીને આત્મીયતા કેળવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આપણે સૌ મહર્ષિ વાલ્મીકીને રામાયણના રચિયતા તરીકે આદર કરીએ છીએ. પરંતુ તેમના જીવનમાંથી બંધુતા, એકતા અને સમાનતાની શીખ મળે છે. આજે પણ આપણી વચ્ચે મહર્ષિ વાલ્મીકીના નામથી એક એવો સમાજ રહે છે કે જે વર્ષોથી સમાજમાંથી મેલું દૂર કરવાની કામગીરી કરે છે. પણ તેમના કામને લીધે હજુ પણ આ વાલ્મીકી સમાજ દેશની મુખ્ય સમાજધારા સાથે જોડાવવા મથામણ કરી રહ્યો છે. તેથી આજના આ દિવસે સમગ્ર દેશમાં વાડાબંધીની જડતા દૂર થાય અને ફક્ત દરેક માણસમાં ભારતીયતાની ભાવના કેળવાઈ તે માટેનો અમારો આ એક નાનકડો પ્રયાસ છે.