સહકારી મંડળીઓએ મૃત્યુ પામેલા સભાસદોના વારસદારોની નોંધણી કરાવવી

        ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-૧૯૬૧ અંતર્ગત નોંધાયેલ સહકારી મંડળીઓ દ્વારા નોંધણી સમયે અને ત્યારબાદ સમયાંતરે સભાસદો દાખલ કરવામાં આવતા હોય છે. સભાસદના મૃત્યુથી તે મંડળીમાં સભ્ય તરીકે બંધ થાય છે. ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-૧૯૬૧ની કલમ-૩૧ અંતર્ગત સભ્યનું મૃત્યુ થયેથી હિત તબદીલ કરી આપવા બાબતની જોગવાઈ કરવામાં આવેલ છે. જે અનુસાર મંડળીએ જરૂરી પ્રક્રિયા કરવાની રહે છે.

       પ્રાથમિક માહિતી મુજબ જિલ્લાની વિવિધ પ્રકારની સહકારી મંડળીઓમાં મૃત્યુ પામેલ હોવા છતાં સભાસદ તરીકે આવી વ્યક્તિઓનું નામ ચાલુ છે જે બાબત કાયદાકીય જોગવાઈઓ સાથે સુસંગત નથી. આથી મોરબી જિલ્લાની તમામ સહકારી મંડળીઓએ ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-૧૯૬૧ ના નિયમો મુજબ મૃત્યુ પામેલ સભાસદના કિસ્સામાં વારસ અથવા કાયદેસરના પ્રતિનિધિને જરૂરી હિત તબદીલ કરવા અને  નિયમોનુંસાર દાખલ કરવાની કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.

       સહકારી મંડળીઓના કિસ્સામાં મૃત્યુ પામેલ સભાસદના વારસ અથવા કાયદેસરના પ્રતિનિધિને હિત તબદીલ માટે યોગ્ય પદ્ધતિ અનુસાર જાણ કરવાની રહેશે અને આવી જાણ કર્યા બાદ કોઇ મૃત્યુ પામેલ સભાસદના વારસ અથવા કાયદેસરના પ્રતિનિધિ મળી ન આવે ત્યારે આવા મૃત્યુ પામેલ સભાસદના હિસ્સા અથવા હિતને અલગ ફંડ તરીકે મંડળી દ્વારા સાચવવાનું રહેશે તથા તેનો નિયમોનુસાર નિકાલ કરવાનો  રહેશે.

       સહકારી મંડળીઓના મૃત્યુ પામેલ સભાસદોના કિસ્સામાં ઉપરોક્ત પ્રક્રિયા બાદ સભાસદ રજીસ્ટરમાંથી મૃત્યુ પામેલ સભાસદનું નામ કમી કરવાની કાર્યવાહી તાત્કાલીક કરવા મોરબી જિલ્લા રજિસ્ટ્રાર ડી.વી.ગઢવીની યાદીમાં જણાવાયું  છે.