વાંકાનેર ટીમ દ્વારા સંવેદના દાખવી ઈજાગ્રસ્તની રિક્ષામાં જ ઈ-શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવી

મધ્યાહન ભોજન સંચાલકને પગે પાટો હોવાથી રિક્ષામાં જ કીટ લઈ ઈ-શ્રમ કાર્ડની કામગીરી કરવામાં આવી

                કેન્દ્ર સરકારની ઈ-શ્રમ કાર્ડની યોજના સાથે તમામ અસંગઠિત શ્રમિકોને સાંકળી લેવા સમગ્ર રાજ્યમાં વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લા કક્ષાએ પણ કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સામુહિક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

         મોરબી જિલ્લાના તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ દ્વારા વિશેષ જહેમત ઉઠાવીને કોઈ પણ જરૂરિયાતમંદ ઈ-શ્રમ કાર્ડ યોજનાથી વંચિત ન રહી જાય તે માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે વાંકાનેર ખાતે મધ્યાહન ભોજન સંચાલક કેશવભાઈ ઝાલાને પગે ઇજા હોવાથી તેઓ વાંકાનેરની ટીમની મદદથી રિક્ષામાં બેસીને કેન્દ્ર પર પહોંચ્યા હતા. પણ પગે પાટો હોવાથી તેઓ કેન્દ્ર અંદર જઈ શકે તેમ નહોતા, ત્યારે ત્યાંની ટીમ દ્વારા સંવેદના દાખવી ઈ-શ્રમ કાર્ડ કાઢવા માટેનું મશીન અને સામગ્રી રિક્ષામાં લાવવામાં આવ્યા હતા અને રિક્ષામાં જ ઈ-શ્રમ કાર્ડ માટે તેમની નોંધણી કરવામાં આવી હતી.

        જિલ્લા વહિવટી તંત્ર સાથે વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એ.એચ. શિરેશીયાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરમાં પણ ઈ-શ્રમ કાર્ડ કઢાવવાની કામગીરી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. ત્યારે કોઈ જરૂરિયાતમંદ ઈ-શ્રમ કાર્ડથી વંચિત ન રહી જાય તે માટે ખાસ ધ્યાન રાખવા અને તમામ શ્રમિકોને જરૂરથી ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એ.એચ. શિરેશીયા દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.

ઈ-શ્રમ કાર્ડ કઢાવવાની કામગીરીમાં વાંકાનેર મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી, ટી.એલ.ઈ., વી.સી.ઈ. વગેરે દ્વારા સામુહિક રીતે જહેમત ઉઠાવી વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.