મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગત વર્ષે ૧૬૫૭૪ બાળકોનું સંપુર્ણ રસીકરણ કરાયું

બાળકોના સ્વસ્થ આરોગ્ય માટે કટિબધ્ધ સરકાર, વિવિધ યોજનાઓ થકી રાખે છે દરકાર, ૧૭૨૬૫૪ બાળકોની તબીબી તપાસ કરી ૧૭૦ થી વધુ બાળકોને વિનામુલ્યે અદ્યતન સારવાર અપાઈ

આજનું બાળક એ આવતી કાલનું ભવિષ્ય છે, સરકાર દ્વારા બાળકોના સ્વસ્થ આરોગ્ય માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મુકવામાં આવ્યા છે જે થકી બાળકોની તંદુરસ્તી, પોષણ, રસીકરણ, સારવાર વગેરેનું ધ્યાન રાખવામાં આવે છે. મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ બાળકોના સ્વાસ્થ્યની કાળજી રાખી તેમની સતત ચિંતા કરવામાં આવે છે, જે થકી જિલ્‍લાના બાળ મૃત્‍યુ દરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

 મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. કવિતાબેન દવેએ જણાવ્યું હતું કે, “બાળકના સારા સ્વાસ્થ્ય માટે આજના સમયે રસીકરણ ખૂબ અગત્યનું છે. બાળકના જન્મ બાદ નિયત સમયે ધનુર, ઓરી, પોલીયો વગેરે જેવી બિમારીઓને રોકવા માટે રસી આપવામાં આવે છે. ગત વર્ષે જિલ્લામાં ૧૬૫૭૪, બાળકોનુ સંપુર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે.

માતા અને બાળકને ઘર આંગણે વિના મુલ્‍યે જરૂરી સેવાઓ મળી રહે તે માટે જિલ્‍લાના તમામ ગામોમાં નકકી કરેલા ચોકકસ બુધવારે અને પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર અને સામુહીક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે દર સોમવારે મમતા દિવસ ઉજવવામાં આવે છે. જેમાં સગર્ભા માતાની આરોગ્‍ય તપાસ, ધનુરની રસી, શકિતની ગોળીઓ મફત આપવામાં આવે છે. તેમજ બાળકોને તમામ રસીઓ મફત આપવામાં આવે છે. ઉપરાંત તમામ લાભાર્થીઓને આરોગ્‍ય શિક્ષણ આપવામાં આવે છે. ગત વર્ષ દરમિયાન મમતા દિવસ અંતર્ગત ૧૭૭૦૦ સગર્ભાઓ તેમજ ૧૬૫૭૪ બાળકોને વિવિધ સેવાઓ આપવામાં આવી છે.

બાળકમાં રહેલ સામાન્‍ય બિમારીની શોધ માટે બિમાર બાળકોને નિષ્‍ણાંત ડોકટરો પાસે સંદર્ભ સેવાઓ આપવા માટે અને ગંભીર બિમારીવાળા બાળકોને સુપર સ્‍પેશિયાલીસ્‍ટ સેવાઓ મફત મળી રહે તે માટે શાળા આરોગ્‍ય કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જિલ્લા આર.સી.એચ.અધિકારીશ્રી ડો.વિપુલ કારોલીયાએ જણાવ્યું હતું કે, “મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગત વર્ષ દરમિયાન ૧૭૨૬૫૪ બાળકોની તબીબી તપાસણી કરવામાં આવી છે. જે થકી હદયની બિમારીવાળા ૬૭ બાળકો, કીડનીની બિમારીવાળા ૧૬ બાળકો તેમજ કેન્‍સરની બિમારીવાળા ૧૪ બાળકોને સુપર સ્‍પેશિયાલીસ્‍ટ સારવાર અમદાવાદ ખાતે મફત આપીને આવા બાળકોની જીંદગી બચાવી લેવામાં આવી છે. ઉપરાંત ક્લેપ લીપ/પેલેટ બિમારી વાળા ૩૧ બાળકો અને કલ્બ ફુટ વાળા ૪૨ બાળકોને વિનામુલ્‍યે ઓપરેશન સારવાર આપવામાં આવી છે”.

 બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે મિશન બલમ સુખમ અંતર્ગત ગુજરાત સરકારશ્રી દ્વારા તાલુકા કક્ષાએ બાળ સેવા કેન્‍દ્ર શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસરશ્રી ડો. હસમુખ રંગપરીયાએ જણાવ્યું હતું કે, હાલ મોરબી જિલ્‍લામાં આવા કુલ ૪ કેન્દ્રો આવેલ છે. જેમાં ડીસ્ટ્રીકટ હોસ્પિટલ મોરબી ખાતે-૧ જિલ્લાની સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલોમાં ૨ અને  સામુહીક આરોગ્ય કેન્દ્રમાં ૧ બાળ સેવા કેન્‍દ્ર કાર્યરત છે.

બાળકોને પુરતુ પોષણ મળી રહે અને કોઈ બાળક કુપોષિત રહે તે માટે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ પોષણક્ષમ આહાર માટે મોરબી જિલ્લામાં ગત વર્ષે કુલ ૯૨૧૩ જેટલા લાભાર્થીઓને પ્રત્યેકને ૫ હજાર મળી કુલ ૪.૬૦ કરોડથી વધુની સહાય ચુકવવામાં આવી છે”.