મોરબી જિલ્લામાં તંદુરસ્ત મતદારયાદીના નિર્માણ માટે રોલ ઓબ્ઝર્વરની નિમણુંક થઇ

રોલ ઓબ્ઝર્વર કુલદીપ આર્યાએ જિલ્લાના મતદાર/ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

તા.૦૫/૦૪/૨૦૨૩ થી તા.૨૩/૦૪/૨૦૨૩ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અંતર્ગત તંદુરસ્ત મતદારયાદીના નિર્માણ માટે મોરબી જિલ્લામાં રોલ ઓબ્ઝર્વર તરીકે શ્રી કુલદીપ આર્યાની નિમણુંક કરવામાં આવી છે. રોલ ઓબ્ઝર્વરશ્રીએ તા.૨૦/૦૪/૨૦૨૩ ના રોજ મોરબી જિલ્લાના તમામ મતદાર નોંધણી અધિકારી અને તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

બેઠક દરમ્યાન તા.૦૧/૦૪/૨૦૨૩ ની લાયકાતની તારીખ સુધીમાં ૧૮ વર્ષ પૂર્ણ થતા તમામ નાગરિકો/વિદ્યાર્થીઓની નોંધણી આ SSR – ૨૦૨૩ દરમ્યાન ૧૦૦% પૂર્ણ કરવામાં આવે તથા તમામ વિધાનસભા મતવિસ્તારમાં જેન્ડર રેશિયો વધારવા માટે બોટમ – ૨૦ મતદાન મથકની રૂબરૂ મુલાકાત તમામ ERO/ AERO દ્વારા લેવામાં આવે તેમ જણાવ્યું હતું.

રોલ ઓબ્ઝર્વરશ્રીએ ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નં.૧૫૩- ટંકારા-૨ શ્રી કુમાર પ્રાથમિક શાળા તથા મતદાન મથક નં.૧૬૦-ટંકારા-૯, શ્રી એમ.પી.દોશી હાઇસ્કુલની મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારી સાથે રૂબરૂ મુલાકાત લઈ બી.એલ.ઓ.ની કામગીરી તથા મતદારયાદીની સમીક્ષા કરી હતી તેમ મોરબી જિલ્લા ચુંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.