મોરબીમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

જિલ્લાના સ્વાગત કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લાના તમામ ૧૧ પ્રશ્નોનો હકારત્મક નિકાલ કરાયો 

દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૪ એપ્રિલ ૨૦૦૩ ના SWAGAT (સ્વાગત – સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી) કાર્યક્રમની શરૂઆત કરી હતી. ટેક્નોલોજીના ઉપયોગથી સુશાસનનું સ્તર કેવી રીતે  સુધારી શકાય તેનું આ SWAGAT કાર્યક્રમ એક ઉત્તમ ઉદાહરણ છે. જેના માટે આ કાર્યક્રમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે. રાજ્ય સરકારના સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. અને છેલ્લા ૨ (બે) દાયકામાં સ્વાગત કાર્યક્રમ દ્વારા ગુજરાતના લાખો નાગરિકોની વિવિધ સમસ્યાઓનું સફળતાપૂર્વક નિરાકરણ થયું છે.

એપ્રિલ ૨૦૨૩ માં સ્વાગત કાર્યક્રમના ૨૦  વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં એપ્રિલ મહિનાનું અંતિમ સપ્તાહ, સ્વાગત સપ્તાહ તરીકે ઉજવાઇ રહ્યું છે ત્યારે આ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત મોરબીમાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટર જી. ટી. પંડયાના અધ્યક્ષ સ્થાને યોજાયો  હતો.

મોરબીમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાકક્ષાએ ૧૧ અરજીઓ મળેલ હતી. જેમાં રસ્તા પર જમીન દબાણ, જમીન માપણી, ખનીજ ચોરી, રોડની  અલાયમેન્ટ બદલી જવા ,ગેરકાયદેસર વેચાણ વ્યવહારની નોંધ રદ કરવા, ગૌચર જમીનના  દબાણ દૂર કરવા, ગેરકાયદેસર મકાનનું દબાણ દૂર કરવા, શહેર ટ્રાફિક સમસ્યા ધ્યાને લઈ ફૂટપાથ પરના દબાણો દૂર કરવા સહિત વિવિધ મુદ્દાઓ સંદર્ભે વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.  જે તમામ ૧૧ અરજીઓનો હકારત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ ૧૧ અરજદારો પૈકી ૫ અરજદારોને રૂબરૂમાં સાંભળી હકારત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લામાં ગ્રામ સ્વાગત કાર્યક્રમ અન્વયે ૧૫૩૩ અરજીઓ મળેલ હતી જેમાંથી ૧૫૨૩ અરજીઓનો હકારત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં ૧૩૩ અરજદારોને રૂબરૂમાં સાંભળવામાં આવ્યા હતા. અને તાલુકા સ્વાગત કાર્યક્રમ અન્વયે ૧૨૨ અરજીઓ મળેલ હતી. જેમાંથી ૧૧૯ અરજીઓનો હકારત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં ૫૪ અરજદારોને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા.

આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. જાડેજા, નિવાસી અધિક કલેકટર એન.કે.મુછાર, વાંકાનેર ચીફ ઓફીસર જી.આર.સરૈયા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ.શિરેસિયા, મોરબી મામલતદાર નિખિલ મહેતા, વાંકાનેર મામલતદાર યુ.વી.કાનાણી, ટંકારા માંલતદાર કેતન સખીયા, માળીયા મામલતદાર બી. જે પંડયા, તાલુકા વિકાસ અધિકારીસર્વ એચ. ડી જાડેજા,આર. એે. કોંઢિયા, ડી.કે. પરમાર, તથા પી.આઈ.કે.જે.માથુકીયા ભુસ્તર શાસ્ત્રી જયેશ વાઢેર, સહિત સંબધીત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.