જગદીશ ત્રિવેદીને રાજ્યપાલના હસ્તે ગુજરાત સરકારનો સર્વોચ્ચ એવો “ ગુજરાત ગરિમા “ એવોર્ડ

વિશાલ જયસ્વાલ હળવદ : ગુજરાત સરકાર દ્રારા વિવિધ ક્ષેત્રોમાં અનેક એવોર્ડ આપવામાં આવે છે. જેમાં રાજ્યપાલ તથા મુખ્યમંત્રીના વરદહસ્તે અપાતો “ ગુજરાત ગરિમા“ એવોર્ડ રાજ્ય સરકાર દ્રારા અપાતો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ છે. ૨૦૦૭ થી શરુ થયેલા આ એવોર્ડમાં ૨૦૨૩ સુધીમાં માત્ર આઠ જ વ્યક્તિવિશેષને આ એવોર્ડ મળ્યા છે.

જામનગર ખાતે પ્રદર્શન મેદાનમાં ગુજરાત રાજ્યના ૬૩મા સ્થાપના દિન નિમિત્તે યોજાયેલી રાજયકક્ષાની ભવ્ય ઉજવણી અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદહસ્તે તેમજ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તથા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં હાસ્યકલાકાર , લેખક, કવિ , ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને “ ગુજરાત ગરિમા“ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.અત્યાર સુધીમાં ગુજરાત સરકારનું આ ગરીમાપૂર્ણ સર્વોચ્ચ સન્માન મેળવનાર ડો. જગદીશ ત્રિવેદી નવમા ગુજરાતી છે.

એમની સાથે ગોરજમાં મુની સેવા આશ્રમ દ્રારા કેન્સર હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર ખોલી અનેક જરુરીયાતમંદ દર્દીઓની વરસોથી સેવા કરનાર સ્વ. અનુબહેન ઠક્કરને મરણોત્તર આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમજ ૨૦૧૮ની એશિયન ગેમ્સમાં ભારતને એથલ્ટીક્સમાં ગોલ્ડ મેડલ અપાવનાર સરીતા ગાયકવાડ મળીને કુલ ત્રણ ગુજરીતીઓને “ ગુજરાત ગરીમા”એવોર્ડ એનાયત થયો હતો.

જગદીશ ત્રિવેદીએ ત્રણ વખત પીએચ.ડી. કર્યું તદુપરાંત પંચોતેર જેટલાં પુસ્તકો લખ્યા, કુલ ૭૬ વિદેશયાત્રાઓ કરીને દેશ-વિદાશમાં ત્રણ હજારથી વધું જાહેર કાર્યક્રમો કર્યા છે.એમાં પણ એમણે જીવનના પચાસ વર્ષ પુરા કરીને પોતાના કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરવાનુ્ શરુ કરીને આજ સુધીમાં નવ સરકારી શાળાઓ અને સાત સાર્વજનિક પુસ્તકાલયો બનાવી આપ્યા છે. તેમજ જરુરીયાતમંદ વિદ્યાર્થીઓ અને દર્દીઓને કરેલી આર્થિક સહાય મળીને આશરે પાંચ કરોડથી વધું રકમનું દાન કર્યુ એ સેવાને ધ્યાનમાં રાખીને એમને “ ગુજરાત ગરિમા” એવોર્ડ અર્પણ થયો હતો.