પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે ગરીબ પરિવારો માટેનું આશ્રયસ્થાન

        પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે ગરીબ પરિવારો માટેનું આશ્રયસ્થાન, જે થકી જરૂરિયાતમંદ લોકો પાકું ઘરનું ઘર મેળવી શકે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર મેળવી વાંકાનેરના સમથેરવા ગામના વતની સુરાભાઈ પોપટભાઈ મુંધવા જણાવે છે કે, “તાજેતરમાં જ મને આવાસ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે. મારું ૧૦ લોકોનું કુટુંબ છે. મારું જૂનું ઘર રહી શકાય તેવી હાલતમાં નહોતું, નળિયા તુટી ગયા હતા ત્યારે સરકાર દ્વારા નવા ઘર માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય આપવામાં આવી. સરકારે ટેકો આપ્યો તો સારું મકાન રહેવા જેવું થયું તે માટે હું સરકારનો આભારી છું.”

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવા અનેક ઘરવિહોણા પરિવારો માટેની છત બની છે. આ યોજનામાં ઘર માટે તો ૧,૨૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે ઉપરાંત અન્ય યોજનાને સાથે જોડીને પોતાના ઘર નિર્માણમાં કામ કરવાની મજૂરી તેમજ શૌચાલય નિર્માણ પેટે પણ રકમ ચુકવવામાં આવે છે. આમ ગરીબોને પણ સુવિધાસભર ઘરનું ઘર મળી રહે તે તરફનું સર્વોત્તમ પગલું છે પ્રધાનમંત્રી અવાસ યોજના.

આ યોજનાનું મુખ્ય ધ્યેય કાચા અને જર્જરિત મકાનોમાં રહેતા ઘરવિહોણા પરિવારોને ગ્રામીણ વિસ્તારોમાં તમામ પાયાની સગવડો સાથે પાકા મકાનો પુરા પાડવાનું છે. આ યોજના અંતર્ગત લાભાર્થીની ઓળખ અને પસંદગીમાં પારદર્શિતા જળવાય તો જ “બધાને માટે ઘર” એ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય. એ વાતની ખાત્રી રાખી આવાસ મળે તે માટે તમામ પાસાઓની ચકાસણી ગ્રામસભા દ્વારા કરીની તેના આધારે સંપૂર્ણ પ્રક્રીયા ઓનલાઈન અનુસરવામાં આવે છે.