મોરબીના નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રીએ લોકાર્પણ કર્યું

સરકાર દ્વારા છેલ્લા ૧૦૦ દિવસમાં ગામડાઓને જોડતી નવી ૩૫૦ બસ સેવાની ગુજરાતને ભેટ આપવામાં આવી–  ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

૫૪૩ લાખથી વધુના ખર્ચે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરની સુવિધા સાથે આધુનિક નવીન એસ.ટી. સ્ટેશનનું નિર્માણ કરાયું, ૫૬૭ લાખથી વધુના ખર્ચે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના, નવનિર્મિત બી-૩૨ (પી-૪) પોલીસ આવાસોનું ઈ-લોકાર્પણ કરાયું

રાજ્ય સરકાર દ્વારા વિધ-વિધ વિકાસકાર્યોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી ખાતે નવનિર્મિત અત્યાધુનીક બસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે મંત્રીએ વાંકાનેર ખાતે નિર્મિત નવીન પોલીસ આવાસનું પણ ઈ-લોકાર્પણ કર્યુ હતું.

        વિશ્વના ખુણે ખુણે સિરામીક ઉદ્યોગો થકી પ્રસિદ્ધ થયેલા મોરબી ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવા બસસ્ટેશનનો શુભારંભ કરતા જણાવ્યું હતું કે, મોરબીને તમામ સુવિધા આપવીએ સરકારની ફરજ છે, ત્યારે સાડા પાંચ કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક બસ સ્ટેશનનું નવલું નજરાણું સરકાર દ્વારા મોરબીને અર્પણ કરવામાં આવ્યું છે. મોરબી અને રાજકોટનું દિલ એક છે, માટે આ બન્નેને જોડતી બસની કનેક્ટિવીટી વધારવાનું કામ સરકારનું છે. આજે મોરબીથી રાજકોટની ૭૦ ઇન્ટરસિટી બસના રૂટ અને પ્રદુષણ મુક્ત ૨૦થી વધુ ઇલેક્ટ્રીક બસોના રૂટ ઉપલબ્ધ છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ બસ સ્ટેશન જેવી અત્યાધુનિક સુવિધાઓ પુરી પાડવાની જવાબદારી સરકારની છે, પરંતુ તે સુવિધાને સ્વચ્છ અને સલામત જાળવી રાખવાની જવાબદારી પ્રજાની છે. જેથી તેમણે તમામ નાગરિકોને આ બસ સ્ટેશનના નવલા નજરાણાને સ્વચ્છ અને સુંદર રાખવામાં યથાયોગ્ય ફાળો આપવા માટે નમ્ર અપીલ કરી હતી.

ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦૦ દિવસમાં સરકાર દ્વારા ગામડાઓને જોડતી નવી ૩૫૦ બસ સેવા આપવામાં આવી છે. ઉપરાંત આગામી સમયમાં ૩૨૧ નવી બસ ફાળવવામાં આવનાર છે. બસ કન્સેશન પાસની વાત કરતા તેમણે ઉમેર્યું કે, મોરબી જિલ્લામાં ૫૪૩૨ વિદ્યાર્થીનીઓની ફ્રી પાસ સુવિધા સાથે અને ૬૨૪૩ વિદ્યાર્થીઓ ૮૨.૫% રાહત પાસની સુવિધા અને ૧૧૭૦ જેટલા ૫૦% રાહતના મુસાફરી પાસ યોજનાના લાભ સાથે મુસાફરી કરી રહ્યા છે. મોરબીથી વિવિધ બસોમાં નિયમિત સરેરાશ ૩૩૦૦૦ મુસાફરો મુસાફરી કરે છે સરકારનો આ આંકડાને ૫૦૦૦૦ સુધી લઈ જવાનો નિર્ધાર છે. જે માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

કાર્યક્રમમાં આગળ વ્યાજખોરોને નિશાનો બનાવી મંત્રીએ જણાવ્યું હતું કે, વ્યાજનું દુષણ નાનું મોટું દુષણ નથી, તે દુષણનું બીજ છે જે અનેક ગુનાઓને જન્મ આપે છે અને આવા વ્યાજખોરોને મોરબી પોલીસે પકડી પાડીને અનેક લોકોને તેમના ઘર પાછા અપાવ્યા છે.

        પ્રાસંગિકમાં ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, સરકાર મોરબીના બધા જ પ્રશ્નો સાંભળે છે અને તમામ માંગણીઓ પુરી કરે છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોરબી ખાતે રૂ. ૫૪૩ લાખથી વધુના ખર્ચે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર સુવિધા સાથે ૨૧૦૦૪.૫૩ ચો.મી. વિસ્તારમાં નવીન એસ.ટી. સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બસ સ્ટેશનમાં મુસાફર જનતાની સુવિધા માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેટિંગ હોલ, ઉપહાર ગૃહ, વિવિધ પ્રકારના સ્ટોલ, વોટર રૂમ, બેબી ફિડીંગ રૂમ, દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખાસ પ્રકારના શૌચાલય તથા સ્લોપિંગ રેમ્પની સુવિધા ઉભી કરવામાં આવી છે. ઉપરાંત ૫૬૭ લાખના ખર્ચે મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બી – ૩૨ (પી – ૪) નવનિર્મિત પોલીસ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

        આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન વિભાગીય નિયામક જે.ડી. કરોતરાએ તથા આભારવિધિ માર્ગ વાહન વ્યવહાર નિગમના મધ્યસ્થ કચેરીના ઈ.ડી.પી. મેનેજર જે.એચ.સોલંકીએ કરી હતી.

નવા બસ સ્ટેશનના લોકાર્પણ સમારોહમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય જીતેન્દ્રભાઇ સોમાણી, હળવદ-ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા, કાલાવાડ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, ગુજરાત રાજ્ય તેમજ મોરબી જિલ્લાના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

         આ ઉપરાંત એસ.ટી. વિભાગના વિવિધ અધિકારી/કર્મચારીઓ કાર્યપાલક ઇજનેર સોલંકી, ડીટીઓ વી.બી. ડાંગર, ડી.એમ.ઈ. એન.બી.રાવલ ડી.એમ.ઓફિસર ડી.યુ. વાઘેલા, ડી.એમ. વોલ્વો એન.વી. ઠુમર, ડી.એમ. એ..એન. પઢારિયા,  નાયબ ઇજનેરી એ.ડી. મહેતા, ડી.એમ.ગોંડલ કે.એમ. જાડેજા, સુરક્ષા અધિકારી એસ.બી. લખતરીયા સહિતના ઉપસ્થિત રહી વ્યવસ્થા સંભાળી હતી.