રક્ષિત ઘુડખર અભ્યારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ

ઘુડખર અભ્યારણ્યના નાયબ વન સંરક્ષક દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

આગામી ૧૫ ઓક્ટોબર સુધી ઘુડખર અભ્યારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું ઘુડખર અભ્યારણ્ય, ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષક દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર રાજ્ય સરકાર દ્વારા તા.૧૨-૦૧-૧૯૭૩ના જાહેરનામા થી ગુજરાતના વન્યપ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે, કચ્છનું નાનું રણ આઇલેન્ડ-બેટ સહિત તથા કચ્છના નાના રણ અને તેને લાગુ આવેલા સરકારી પડતર ખરાબાઓના વિસ્તારને અભ્યારણ્ય, શિકાર પ્રતિબંધિત આશ્રયસ્થાન ઘુડખર (જંગલી ગધેડાઓ)ના અભ્યારણ્ય તરીકે જાહેર કરેલ છે.

        આ અભ્યારણ્યમાં વિવિધ પ્રકારના વન્યપ્રાણીઓ વસવાટ કરે છે. જેથી બિન અધિકૃત વ્યક્તિઓ વાહનો લઇને કે પગપાળા અભ્યારણ્યમાં પ્રવેશ કરવો નહીં. ઉપરાંર સ્થાનિક લોકોએ દિવસ દરમિયાન ૨૦ કિ.મી. થી વધુ ઝડપે કોઇએ વાહન ચલાવવા નહીં. તેમ છતાં આવા કોઇ ઇસમો માલુમ પડશે તો તેમની સામે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ ઘુડખર અભ્યારણ્ય, ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષક ડો. ડી. એફ. ગઢવી દ્વારા જાહેરનામું બહાર પાડી જણાવવામાં આવ્યું છે.