મોરબીની શકત શનાળા પ્લોટ પ્રાથમિક શાળામાં “કૃતજ્ઞતા સમારોહ” યોજાયો

કૃતજ્ઞતા એટલે વ્યક્તિએ જે તે ક્ષેત્રમાં લાભ કે જ્ઞાન મેળવ્યા છે તે માટેની હકારાત્મક ભાવના કે ઋણ અદા કરવાનો અભિગમ એટલે કૃતજ્ઞતા.

શકત શનાળા પ્લોટ શાળામાં જેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવી ખૂબ મહેનત કરી શુન્ય માંથી સર્જન કરી ફોટોગ્રાફી ક્ષેત્રે જેમનું આગવું નામ છે એવા પ્રકાશકુમાર મનસુખભાઈ કાલાવડીયા અને તેમના મોટાભાઈ કેતનકુમાર મનસુખભાઈ કાલાવડીયા(પોપ્યુલર સ્ટુડિયો-મોરબી) ને ગુરુપૂર્ણિમા ના દિવસે શાળા પાસેથી પસાર થતા એક વિચાર આવ્યો કે જે શાળામાંથી મેં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે તે શાળા પ્રત્યે મારે મારું ઋણ અદા કરવું જોઈએ.
ત્યારે બન્ને ભાઈઓ તરફથી શકત શનાળા પ્લોટ શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ને એક શૈક્ષણિક કીટ જેમાં પેન,પેન્સિલ,ઈરેઝર,સાર્પનર,સ્કેલ,કલર બોક્સ,ફુલસ્કેપ નોટબુક, ચૅક્સ અને લાઇનિંગવાળી નોટબુક, ડ્રોઈંગ બુક,ફાઇલ ફોલ્ડર આપવામાં આવી. આ પ્રસંગે તેમના સ્ટુડિયોના સર્વે સ્ટાફગણ પણ હાજર રહ્યા અને શાળા પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી.

શાળામાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ દ્વારા તમામનું પુષ્પ આપી સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે કેતન કુમારે પોતાના પ્રાથમિક શિક્ષણ ને વાગોળ્યું અને શાળાની ભૌતિક સુવિધાઓ, સ્વચ્છતા, સંસ્કાર અને શિક્ષણ વિશે વાતો કરી પોતાના ગુરુજનો અને શિક્ષક ભાઈ-બહેનોનો આભાર માન્યો.

શકત શનાળા પ્લોટ શાળામાં અભ્યાસ કરી પોતાની પસંદગીના ફોટોગ્રાફી ક્ષેત્રે જવલંત સફળતા પ્રાપ્ત કરી મોરબી અને આસપાસના વિસ્તારોમાં નામના મેળવવા બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા અને હજુપણ પોતાના ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરો તેવા આશિષ પાઠવી ગૌરવ વ્યક્ત કર્યું. તેમ જ શાળા પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા બદલ શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ રામાવત તથા હર્ષદભાઈ મારવણીયા મીનાબેન ફુલતરિયા તથા હિનાબેન ગામી દ્વારા પ્રકાશકુમાર અને કેતનકુમાર તથા પોપ્યુલર સ્ટુડિયો નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.