મોરબીમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા ૨૪ હજારથી વધુ લોકોએ અટલ પેન્શન યોજના અપનાવી

સામાજિક સુરક્ષા અને આર્થિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરતી અટલ પેન્શન યોજના, સુખમય નિવૃત્ત જીવન માટેની સરકારની આ યોજના બની રહી છે લોકો માટે ટેકારૂપ

અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને કોઈનું ઓશિયાળું ન થવું પડે અને મોટી ઉંમરમાં તેમને કોઈ પર ભારણ બનીને ન રહેવું પડે તે માટે સરકારશ્રીએ અટલ પેન્શન યોજના બનાવી છે. આ યોજના થકી અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા ભારતીય નાગરિકો નિવૃત્તિ પછી સુખી જીવન જીવવા સક્ષમ બની રહ્યા છે. નેશનલ પેન્શન યોજના અંતર્ગત મોરબીમાં કુલ ૨૪,૪૦૬ લાભાર્થીઓનો નાણાંકીય સમાવેશ કરવામાં આવ્યો છે. આ લોકોએ સુખમય નિવૃત્ત જીવન માટે અટલ પેન્શન યોજના અપનાવી છે.

વાત કરીએ આ અટલ પેન્શન યોજનાની તો આ યોજના અન્વયે પસંદ કરેલ યોગદાનના આધારે રૂ. ૧૦૦૦, રૂ. ૨૦૦૦, રૂ.૩૦૦૦, રૂ. ૪૦૦૦, અથવા રૂ. ૫૦૦૦ પ્રતિ મહિને નિશ્ચિત માસિક પેન્શનની રકમ આપવાની હોય છે. લાભાર્થી ૬૦ વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી પેન્શન યોજનામાં નિયમિત યોગદાન આપવું જરૂરી હોય છે. યોગદાનની રકમ પસંદ કરેલ પેન્શનની રકમ અને પ્રવેશની ઉંમર પર આધારિત છે. આ યોજના અન્વયે લાભાર્થીની પસંદગી મુજબ માસિક, ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક યોગદાનનો વિકલ્પ પણ આપવામાં આવે છે. લાભાર્થીના અકાળ મૃત્યુના કિસ્સામાં (૬૦ વર્ષની વય પહેલાં મૃત્યુ), લાભાર્થીની પત્ની, લાભાર્થીના અટલ પેન્શન યોજનામાં ખાતામાં ફાળો ચાલુ રાખી શકે છે. લાભાર્થી અને જીવનસાથી બંનેના મૃત્યુના કિસ્સામાં, નોમિની(વારસદાર)ને સંપૂર્ણ પેન્શન કોર્પસ ચૂકવવામાં આવે છે. બાકીના સમયગાળા માટે જ્યાં સુધી મૂળ લાભાર્થી ૬૦ વર્ષની ઉંમરે પહોંચી ન જાય ત્યાં સુધી યોગદાન ચાલુ રાખવાનું હોય છે.

૧૮ થી ૪૦ વર્ષની વયનો કોઈપણ ભારતીય નાગરિક કે, જે આવકવેરા કરદાતા ન હોય તે અટલ પેન્શન યોજનામાં નોંધણી કરાવીને લાભ લઈ શકે છે. અટલ પેન્શન યોજનાને લોકોએ સારી રીતે સ્વીકારી છે અને દેશભરમાં કરોડો લોકોએ તેનો લાભ લીધો છે. વધુમાં આ યોજનામાં રકમ લાભાર્થીની ઉંમર અને યોગદાન અનુસાર નક્કી કરવામાં આવે છે. તેથી, જો લાભાર્થી યુવાન વયે જોડાય છે, તો માસિક ચૂકવણીની રકમ ૪૦ વર્ષની વયે યોજનામાં દાખલ થનાર વ્યક્તિ કરતાં ખુબ જ ઓછી હોય છે. તદઉપરાંત યોજના સાથે જોડાનાર કોઈપણ બેંક ખાતાધારકે ઓટો-ડેબિટ સુવિધા સક્રિય કરવી આવશ્યક હોવાથી ઓટો-ડેબિટ સુવિધા યોગદાન સંગ્રહ શુલ્ક પણ ઘટાડે છે. અટલ પેન્શન યોજના માં યોગદાન નેશનલ પેન્શન સ્કીમ જેવા જ કર લાભો માટે પાત્ર છે.

અટલ પેન્શન યોજના ગરીબો અને વંચિતોને સામાજિક સુરક્ષા અને આર્થિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવેલી યોજનાઓમાંની એક છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાનિર્દેશ હેઠળ નાણાકીય સમાવેશ સહિત વ્યક્તિઓને તેમની નિવૃત્તિ માટે બચત કરવા અને તેમનું વૃદ્ધાવસ્થા દરમ્યાન નિયમિત આવક મેળવવા માટે પ્રોત્સાહિત કરીને સક્ષમ બનાવવામાં ચોક્કસપણે સફળ થઈ રહી છે.