રાજ્યમાં યુરીયા ખાતરનો જથ્થો પૂરતા પ્રામાણમાં ઉપલબ્ધ; કૃષિ મંત્રી રાઘવજી પટેલ

રાજ્યમાં ખેડૂતલક્ષી કોઇપણ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવી ખેડૂતોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ: રાઘવજી પટેલ

કૃષિ મંત્રીએ ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે ખાતરની ઉપલબ્ધતા અંગે બેઠક કરી, મંત્રીએ રાજ્યમાં યુરીયા ખાતરનું વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય અને ખાતરની ખેંચ ન પડે તે મુજબનું આયોજન કરવા સૂચનાઓ આપી

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ખેડૂતલક્ષી કોઇપણ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવી ખેડૂતોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.

રાજ્યમાં યુરીયા ખાતરની ઉપલબ્ધતા અંગે ખેડૂતો તરફથી મળેલા સૂચનોને ધ્યાને લઇ કૃષિ મંત્રીશ્રીએ ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે બેઠક કરીને ખાતરની ઉપલબ્ધતા અંગે વર્તમાન પરીસ્થિતિની સમીક્ષા કરી હતી.

કૃષિ મંત્રીએ ખેડૂતોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જરૂરીયાત મુજબનો યુરીયા ખાતરનો જથ્થો પૂરતા પ્રામાણમાં ઉપલબ્ધ છે, અને આ જથ્થો પૂરતો જળવાઈ રહે તે મુજબ અમલવારી પણ કરવામાં આવી રહી છે. ખેડૂતમિત્રોએ કોઈપણ અફવાઓથી પ્રેરાવવું નહિ તેમજ જરૂરીયાત મુજબ યુરીયા ખાતરની ખરીદી કરી બીનજરૂરી સંગ્રહ કરવો નહિ. તેમ છતાં યુરીયા ખાતરના જથ્થા બાબતે કોઇપણ પ્રશ્ન હોય તો સંબંધિત જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ની કચેરીનો સંપર્ક કરવા મંત્રીએ જણાવ્યું છે.

રાજ્યના ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં યુરીયા ખાતરનો જથ્થો મળી રહે તે માટે મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ ગુજકોમાસોલ અને ગુજરાત એગ્રો ઈન્‍ડસ્ટ્રીઝ કોર્પોરેશેનને યુરીયા ખાતરનું વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય અને ખાતરની ખેંચ ન પડે તે મુજબનું આયોજન અને તેની ચુસ્તપણે અમલવારી થાય તે સુનિશ્ચિત કરવા મંત્રીએ સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત મંત્રીશ્રીએ ખાતર વિતરણ વ્યવસ્થાનું મોનીટરીંગ કરવા પણ અધિકારીઓને જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેતીવાડી ખાતાના નિયામક દ્વારા પણ યુરીયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે. જેનું અમલીકરણ ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ થઇ રહ્યું છે. ભારત સરકાર સાથે થયેલ યુરીયા ખાતરની ઉપલબ્ધતા બાબતેની સમીક્ષા બેઠકમાં પણ ભારત સરકાર દ્વારા ગુજરાતને ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો પૂરો પાડવા માટે આયોજન કર્યું છે. ખેતીવાડી ખાતાના ગુણવત્તા નિયંત્રણ તંત્રના ધ્યાને ખાતરના ડાઈવર્ઝનના કિસ્સામાં લગત ડીલર કે વિક્રેતાની સામે કાયદેસરની કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે, અને તેની સામે વિવિધ અધિનિયમ અને એક્ટની જોગવાઈ અનુસાર કાનૂની પગલા પણ લેવામાં આવશે.