મોરબી : સેલોજા સેનેટરી વેર દ્વારા કરેલ દબાણ દુર કરાવવા પંચાયતને જિલ્લા વિકાસ અધિકારીની સુચના

૭ દિવસમાં  PMAYના લાભાર્થીઓના પ્લોટમાં કરેલ દબાણ દુર નહીં કરે તો દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરાશે

મોરબી તાલુકાના આંદરણા ગામે PMAYના લાભાર્થીઓ માટે ફાળવેલ પ્લોટ પર સેલોજા સેનેટરી વેર દ્વારા લેબર ક્વાર્ટર બનાવી દબાણ કર્યું હોવાથી ૭ દિવસમાં આ દબાણ દુર કરવા માટે મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા દ્વારા સુચના આપવામાં આવી છે.

મોરબી તાલુકાના આંદરણા ગામે નાયબ કલેકટર અને મોરબી સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટના હુકમ મુજબ સને ૨૦૧૭ માં સર્વે નંબર ૭૦/૨ પૈકી માં નવું ગામતળ નીમ કરવામાં આવ્યું હતું. આ ગામતળમાં મોરબી તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા લે-આઉટ બનાવી ૭૪ પ્લોટો પાડી SECC ડેટામાં નામ ધરાવતા PMAYના લાભાર્થીઓ અનુક્રમે ૧. જામરિયા ચંદુલાલ ડાયાભાઇ, ૨. ચિરોડીયા જીલુભાઈ રેવાભાઈ, ૩. ચંદ્રેસરા અશોકભાઈ રામજીભાઈ, ૪. બાંભવા કાળુભાઈ વાસાભાઈ, ૫. પરમાર પ્રવિણભાઈ ભોજાભાઈ વગેરેના પ્લોટ પ્લોટ લેન્ડ કમિટીમાં મંજુર કરવામાં આવ્યા હતા.

આ જગ્યાએ સ્થળ તપાસ કરાવતા જામરિયા ચંદુલાલ ડાયાભાઇ અને ચંદ્રેસરા અશોકભાઈ રામજીભાઈને ફાળવેલ પ્લોટ નંબર અનુક્રમે ૬૭ અને ૬૮ માં સેલોજા સેનેટરી વેર દ્વારા લેબર ક્વાર્ટર બનાવી દબાણ થયાનું મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિગ્વિજયસિંહ ડી.જાડેજાના ધ્યાને આવતા તેમણે તાલુકા વિકાસ અધિકારીશ્રી દીપાબેન એચ. કોટકને ગ્રામ પંચાયત દ્વારા દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપતા ગ્રામ પંચાયત દ્વારા આજ તા.૨૫/૦૭/૨૦૨૩ના રોજ સરપંચશ્રી આંદરણા દ્વારા સેલોજા સેનેટરી વેરને તાત્કાલિક ધોરણે દિવસ-૭માં દબાણ દુર કરવા નોટીસ આપવામાં આવેલ છે.

સેલોજા સેનેટરી વેર દ્વારા આ બંને પ્લોટો સિવાય અન્ય પ્લોટો મળી કુલ ૨૯ પ્લોટોમાં તથા ખુલ્લી જગ્યામાં અંદાજીત કુલ ૪,૨૫૦ ચો.મી માં દબાણ કર્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડેલ છે. જો સેલોજા સેનેટરી વેર દ્વારા આ દબાણ દુર કરવામાં નહી આવે તો નિયમોનુસાર કાર્યવાહી કરી દબાણ કરેલા પાકા બાંધકામો તોડી પાડવા સહિતના પગલા લેવામાં આવશે તેવું જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી જાડેજાની યાદીમાં જણાવાયું છે.