ટંકારાની લખધીરગઢ શાળામાં નિવૃત ફૌજીનું સન્માન કરાયું

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લખીધરગઢ ગામે ગામના વડીલ આગેવાનોના હસ્તે શિલાફલકમનુ અનાવરણ કરવામાં આવ્યું. આ તકે શહીદ વીરો, આર્મીમેન તેમજ નિવૃત્ત જવાનોને પણ યાદ કરવામાં આવ્યા હતા. લખધીરગઢ ગામનાં નિવૃત આર્મીમેન ઢેઢી ચેતનભાઈ, બાવરવા બિપીનભાઈ તેમજ ફેફર દલસુખભાઈનુ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. વસુધાવંદન કાર્યક્રમ અંતર્ગત માતૃશક્તિના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

પંચપ્રાણ કાર્યક્રમ હેઠળ હાથમાં માટીનાં દીવડાં સાથે પ્રતિજ્ઞા લેવામાં આવી. માટી કળશમાં એકત્ર કરી કળશ યાત્રા કરવામાં આવી. સરપંચશ્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ધ્વજવંદન બાદ તેમણે પોતાના વક્તવ્યમાં કાર્યક્રમની વિસ્તૃત છણાવટ કરી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉત્તમ કાર્યદક્ષતાનો પરિચય પ્રસ્તુત કર્યો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

“મારી માટી મારો દેશ” કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી હીનાબેન દેવમુરારી, તલાટી મંત્રી નિકીતાબેન ભેંસદડિયા અને ધર્મિષ્ઠાબેન ઢેઢી તેમજ શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીવતીબેન પીપલીયા દ્વારા કરવામાં આવ્યું.

કાર્યક્રમના અંતે દાતા ધર્મિષ્ઠાબેન ઢેઢી તરફથી બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું.