વાંકાનેરમાં દર મહિનાના પહેલાં રવિવારે શિક્ષકો અને યુવાનો દ્વારા ચલાવવામાં આવતું પુસ્તક પરબ

માતૃભાષા અભિયાન અમદાવાદના માર્ગદર્શન અને સહકાર દ્વારા મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં શિક્ષકો દ્વારા વર્ષ ૨૦૧૮થી પુસ્તક પરબનો એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવેલ છે. જેમાં વાંકાનેર શહેરમાં પુલ દરવાજા પાસે ફૂટપાથ પર શિક્ષકોની ટીમ દ્વારા પુસ્તક પરબ ચલાવવામાં આવી રહ્યું છે.

જેમાં દર મહિનાના પ્રથમ રવિવારે આશરે ૩,૫૦૦ જેટલા પુસ્તકો વાંકાનેરના લોકોને વિના મૂલ્યે વાંચવા માટે આપવામાં આવે છે. જેમાં નવલકથાઓ, બાળવાર્તાઓ, જીવન ચરિત્ર, પ્રેરણાત્મક, સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ આધ્યાત્મિક પુસ્તકો હોય છે. વાંકાનેર તાલુકાના ઘણાં બધાં લોકો આ પુસ્તક પરબનો લાભ લે છે અને ઉત્સાહ સાથે હકારાત્મક અભિપ્રાય આપે છે. આ પુસ્તક પરબના સેવા યજ્ઞમાં દાતાઓ દ્વારા પણ પુસ્તકો ભેટ આપવામાં આવે છે.

જેમાં અલ્પેશભાઈ પટેલ, ડૉ.સતીશભાઈ પટેલ, રઘુવંશી અભિમન્યુભાઈ, જયદીપભાઈ ઉપાધ્યાય, સમીરભાઈ સંઘવી, ડૉ. ધર્મિષ્ઠાબેન હિંગળાજિયા, દીપકસિંહ ઝાલા વગેરે દાતાઓ દ્વારા યોગદાન આપવામાં આવેલ છે. આ પુસ્તક પરબ ચલાવવા વાંકાનેરના શિક્ષકો તેમજ યુવાનો દ્વારા મફત સેવા પૂરી પાડવામાં આવે છે. પુસ્તક પરબના કાર્યમાં જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, અતુલભાઈ બુદ્ધદેવ, યજ્ઞેશભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ કાલરિયા, ડૉ. ડાયાલાલ પરબતાણી, કમલેશભાઈ પરમાર, ડૉ. નવીનચંદ્ર સોલંકી, ધ્રુવગિરિ ગોસ્વામી, હાર્દિકભાઈ સોલંકી, મહાવીરસિંહ ઝાલા વગેરે મિત્રોની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.