વાંકાનેર ખાતે દિવ્યાંગ મતદારોને મતદાન અંગે જાગૃત કરવા ચૂંટણી તંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું

મતદાન માટે દિવ્યાંગ મતદારોને આપવામાં આવતી સુવિધાઓ અંગે માર્ગદર્શન અપાયું

મોરબી જિલ્લામાં વાંકાનેર ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો માટે ઉપલબ્ધ કરવામાં આવતી સુવિધાઓ અંગે માર્ગદર્શન આપવા તેમજ મતદાન જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચૂંટણી અંતર્ગત ચૂંટણીમાં લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા તેમજ મતદારોને જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે મોરબી જિલ્લામાં વાંકાનેરમાં કે.જી.એન. એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પી.ડબ્લ્યુડી. નોડલ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, સ્વીપ નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી તેમજ વાંકાનેર પ્રાંત અધિકારી  અને મામલતદારની કચેરી દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મતદાન જાગૃતિ અંતર્ગતના આ કાર્યક્રમમાં ચૂંટણી તંત્રના અધિકારી/કર્મચારીઓ દ્વારા દિવ્યાંગ મતદારો સુગમતાપૂર્ણ મતદાન કરી શકે તે માટે વ્હીલચેર, ફ્રી ટ્રાન્સપોર્ટેશન તેમજ વોલેન્ટિયર સહિતની આપવામાં આવતી સુવિધાઓ અંગે દિવ્યાંગ મતદારો સહિત ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત તમામ લોકોને અચૂક મતદાન કરવા તેમજ અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કરવા માટે અપીલ કરવામાં આવી હતી.