મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મતદાન પુરુ થવાના ૪૮ કલાક પહેલાથી ચૂંટણી પ્રચારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ

મોરબી જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૬ ની જોગવાઈ મુજબ મતદાન પુર્ણ થવા માટે નિયત કરેલ સમય સાથે પુરા થતાં ૪૮ કલાકની મુદત દરમિયાન જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. જેથી મતદાન પૂરું થવાના સમય પહેલાના ૪૮ કલાક એટલે કે, તા.૦૫/૦૫/૨૦૨૪ ના સાંજના ૦૬:૦૦ કલાક થી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવા જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લાના સમગ્ર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં મતદાન પુરું થવાના સમય પહેલાના ૪૮ કલાક એટલે કે, તા.૦૫/૦૫/૨૦૨૪ ના સાંજના ૦૬:૦૦ કલાક થી કોઈપણ વ્યકિત ચૂંટણી સબંધમાં કોઈ જાહેરસભા બોલાવશે નહીં, યોજશે નહીં, સંબોધન કરશે નહીં કે સરઘસ કાઢશે નહીં કે તેવી સભામાં હાજરી આપશે નહીં. સિનેમેટોગ્રાફ, ટેલીવિઝન, એલ.ઈ.ડી. અથવા આવા અન્ય સાધનોની સહાયથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરશે નહીં. મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દ્રષ્ટિએ જાહેરમાં કોઈ સંગીતનો જલસો, થીએટરનો કાર્યક્રમ, કોઈ મનોરંજન કાર્યક્રમ કે સમૂહભોજન યોજીને કે યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચૂંટણી પ્રચાર કરશે નહીં કે ચૂંટણીના પરીણામ પર અસર કરે તેવા ઈરાદાવાળી કોઈ પ્રવૃતિ કરશે નહી.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ તથા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૬ હેઠળ જેલ અથવા દંડ અથવા બંને સજાને પાત્ર થશે.