પ્રાકૃતિક ખેતી દ્વારા હળવદના રણછોડભાઈ કણઝરીયાની આવકમાં થયો અઢી ગણો નોંધપાત્ર વધારો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વીડિયો દ્વારા માર્ગદર્શન મેળવ્યું જીવામૃતના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા વધવા લાગી

હળવદ તાલુકાના ઈસનપુરનાં ૪૬ વર્ષીય ખેડૂત રણછોડભાઈ કણઝરીયાએ ૧૦ ધોરણ સુધી અભ્યાસ કરેલ છે. તેઓ છેલ્લા ૪ વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું હાલ તેઓ ઓનલાઇન વેંચાણ કરી રહ્યા છે સાથે આસપાસના ગામોના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.

ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે થયેલ અનુભવો અંગે રણછોડભાઇએ જણાવ્યું હતું કે અમારા હળવદ તાલુકાના મુખ્ય પાકો એટલે ખરીફ પાકમાં કપાસ અને રવી પાકોમાં ઘઉ તથા વરીયાળી અને જીરૂનો સમાવેશ થાય છે. અમારા વિસ્તારમા લગભગ મોટા ભાગના ખેડૂતો  પરંપરાગત ખેતી કરતા હતા. વર્ષો પહેલા કપાસ પાકનું વાવેતર કરતા હતા. શરૂઆતમાં  એક એકરે વધારે ઉત્પાદન મળતુ પણ જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ ઉત્પાદન ઘટવા લાગ્યુ. રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો વધારે ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી. કપાસમાં એકરે ઉત્પાદન સાવ ઓછું થવા લાગ્યુ. આવા સમયમાં અમે ૫-૬ વર્ષ પહેલા અમે બગાયતી પાક્ના વાવેતર કરવાનુ વિચાર્યુ તે સમયે મે ૨ એકરમા લીંબૂનું  વાવેતર કર્યુ હતું.

લીંબુના વાવેતરમાં જરૂરીયાત મુજબ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરતા. પરિણામે ખર્ચ વધવાથી નફો ઓછો મળતો હતો. હું લીંબુના વાવેતરનું અવલોકન કરતો. ત્યારબાદ હું આત્મા પ્રોજેક્ટ સાથે છેલ્લા ૪ વર્ષથી જોડાયેલો છુ. તેની  જુદી જુદી તાલીમમાં  ભાગ લેવા જતો હતો. આ દરમિયાન અમારા તાલુકાના આત્માના સ્ટાફ દ્વારા ગાય આધારીત ખેતી અંગેની તાલીમ યોજેલ તેમા મે ભાગ લીધો અને આ અંતર્ગત માર્ગદર્શન મેળવ્યુ. ઉપરાંત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વીડિયો  દ્વારા માર્ગદર્શન મેળવ્યું હતું.

શરૂઆતમાં જીવામૃત ચાલુ કર્યુ ત્યારબાદ લીંબુ વાવ્યા તેમાં આંતરપાક તરીકે હળદર, મરચી, મગ, મગફળી, તલનુ વાવેતર કરતા થયા અને મિશ્ર પાક કરવા લાગ્યા. હળદળ, મરચાંનું મુલ્યવર્ધન કરીને તેના પાવડરના પેકિંગ બનાવ્યા, મગના પણ પેકિંગ કરીને વેંચીએ છીએ પરિણામે સિંગલ પાક કરતા આ રીતે આવક વધારે મળવા લાગી. હાલમા જીવામ્રુતના સતત ઉપયોગ કરવાથી જમીન જે અગાઉ બિન ઉપજાવ બની ગયેલ હતી તેની ફળદ્રુપતા વધવા લાગી હતી. જમીનમાં અળસિયા ઉત્પન થવા લાગ્યા અને અત્યારે ગમે તેટલો વધારે વરસાદ પડે તો પણ જમીન પાણી સંગ્રહ કરી લે છે. જમીનની નિતારશક્તિ વધવાથી ભેજ સંગ્રહશક્તિ પણ સુધરી પરિણામે પિયતની સંખ્યા પણ ઘટી એટલે વિજળી ખર્ચમાં પણ બચત થઇ.

જ્યારે ખેતી કામમાં કેમિકલનો ઉપયોગ કરતાં હતા ત્યારે આવક રૂ. ૮૦,૦૦૦ થતી હતી તેની સામે ખર્ચ રૂ. ૪૦,૦૦૦ જેટલો થતો હતો જેથી નફો રૂ.૪૦,૦૦૦ મળતો હતો. પ્રાકૃતિક  ખેતીના ઉપયોગથી ખેતીની આવક – રૂ.૧,૪૦,૦૦૦ ની થઈ હતી અને ખર્ચ- રૂ.૪૦,૦૦૦ નો થયો હતો. અને નફો- રૂ.૧,૦૦,૦૦૦ મળતો થયો હતો આમ, રણછોડભાઈની આવકમાં અઢી ગણો નોંધ પાત્ર વધારો થયો હતો.

પ્રાકૃતિક કૃષિ અંતર્ગત રણછોડભાઇ કણઝરીયાએ જણાવ્યું હતું કે મારા ૨ એકર ખેતરમાં લીંબુ ચીકુ, સંતરા, મોસંબી, મગ, મરચી તુવેરનો પાક લઉં છું. ખેત ઉત્પાદનના વેચાણ માટે  આત્મા પ્રોજેકટના સહયોગથી પ્રાકૃતિક વેચાણ માટેનો સ્ટોલ ચાલુ કરી તેમાં વેંચાણ કરું છું. તેમજ સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી જરૂરિયાત મુજબ સીધુ જ વેચાણ ગ્રાહકને કરુ છુ. વધારાનુ ઉત્પાદન ઓપન માર્કેટમાં વેચુ છુ. આમ પ્રાક્રુતિક ક્રુષિમાં ખર્ચ ઘટવાથી આવક વધારે મળે છે. જમીન સુધરે છે. ફળદ્રુપતામાં વધારા ઉપરાંત પર્યાવરણનું રક્ષણ થાય છે અને લોકોને શુધ્ધ આહાર ખોરાક માટે મળી રહે છે.