મોરબી : આકાશી વીજળી પડતાં મૃત્યુ પામેલા ખેત શ્રમિક પરીવારને ૪ લાખની સહાય ચૂકવાઈ

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં કડાકાભડાકા સાથે વરસેલા વરસાદથી જોગડ ગામે આકાશી વીજળી પડતા યુવાનનું મોત થયું હતું. જેને સહાય અપાવવા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. વહીવટ તંત્રના પ્રયાસો અને સરકારની સંવેદનશીલતાથી ખેત શ્રમિકના પરીવારને રાજ્ય સરકાર દ્વારા ૪ લાખની સહાય આપવામાં આવી છે.

મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના જોગડ ગામે ગત તારીખ ૨૬-૦૬-૨૦૨૪ના દિવસે વીજળી પડવાનો બનાવ બનવા પામ્યો હતો. આ બનાવમાં આકાશી વીજળી પડતા ખેત શ્રમિક અનિલભાઈ અર્જુનભાઈ નાયકનું અવસાન થયું હતું. આ ઘટનામાં કુદરતી આપત્તિ સહાય યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર હોવાથી વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવી છે, જરૂરી દસ્તાવેજો પૂર્ણ કરી મૃતકના વારસદારના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે.

જિલ્લા વહીવટી તંત્રમાં નિવાસી અધિક કલેક્ટર એસ.જે ખાચર, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ પ્રજાપતિ, હળવદ તાલુકા વિકાસ અધિકારી એમ.કે. સિંધવ સહિતના અધિકારીઓએ પ્રયત્ન હાથ ધરી વડોદરા જિલ્લાના વહીવટી તંત્રનો સંપર્ક કરી મૃતકના ઘર સુધી પહોંચીને મૃતક અનિલ અર્જુનભાઈ નાયકના માતા જ્યોત્સનાબેન અર્જુનભાઈ નાયકને ૪ લાખની સહાય ચૂકવી હતી.