મોરબીમાં શિવલિગને પ્રતીકાત્મક દૂધ અર્પણ કરીને વંચિત બાળકોના પેટમાં દુગધાભિષેક કરી જીવ રાજી તો શિવ રાજીનો મેસેજ આપ્યો

શ્રાવણ માસ નિમિત્તે સેવાકાર્ય ધમધમતા રાખવાની નેમ વ્યક્ત કરતા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી

મોરબી :મોરબીમાં દરેક તહેવારોની પ્રેરણાત્મક રીતે ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે શ્રાવણ માસના સોમવારે પણ ખરા અર્થે ભગવાન શિવ રાજી થાય તેવું સરાહનીય કાર્ય કર્યું હતું. જેમાં દૂધ શિવલિંગ ઉપર ચડાવીને એ દુધથી વંચિત રહેતા ઝૂંપટપટ્ટીના ગરીબ બાળકો સહિત આશરે 2 હજાર જેટલા લોકોને દૂધપાક- પુરીભાજીનું ભરપેટ ભોજન કરાવીને તેમની જઠરાગ્નિ તૃપ્ત કરીને જીવ રાજી તો શિવ આપોઆપ રાજીનો મેસેજ આપ્યો છે.

મોરબીમાં જન્મદિન સહિત દરેક તહેવારોની ઉજવણી હોય તેમ વિશિષ્ટ રીતે કાંતિકારી ભાત પાડનાર યંગ ઇન્ડિયા ગ્રુપે આજે શ્રાવણ માસના સોમવારની ક્રાંતિકારી રીતે ઉજવણી કરી હતી. ખાસ કરીને શિવ ભક્તો સોમવારે ભગવાન શિવને રાજી કરવા માટે શિવલિંગ પર દૂધ ચડાવતા હોય છે. આ લોકોની શ્રદ્ધા છે. પણ હકીકતમાં વર્ષોની આ પ્રણાલીકામાં યંગ ઇન્ડિયા ગ્રુપે છેલ્લા તેર વર્ષથી ક્રાંતિકારી કર્યો છે. જેમાં આજે યંગ ઇન્ડિયા ગ્રુપે વર્ષોની ધાર્મિક શ્રદ્ધાંનો આદર સત્કાર કરી શ્રાવણ માસના સોમવારે પ્રથમ શિવલિગને પ્રતીકાત્મક દૂધ અર્પણ કરીને બાકીનું દૂધ જે બાળકોને જરૂરીયાત હોય છે તેમને આપીને શિવને રાજી કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે. ઇન્ડિયા ગ્રુપે દૂધપાક બનાવીને પુરીભાજીનો પૌષ્ટિક આહાર આજે શહેરની ઝૂંપટપટ્ટી વિસ્તારના ગરીબ બાળકો સહિત 2 હજાર લોકોને ભરપેટ ભોજન કરાવીને જઠરાગ્નિ તૃપ્ત કરી હતી.આ તકે યંગ ઇન્ડિયા ગુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, અમે લોકોની ભગવાન શિવ પ્રત્યે શ્રધ્ધાને ચોટ પહોંચાડવા માંગતા નથી. પણ શિવ મહિમા એવો છે કે જીવ રાજી તો શિવ રાજી, એનો મતલબ એ છે કે, પૃથ્વી ઉપર જે જીવ સુષ્ટિ વિહરી રહી હોય એમ જે દૂધ જેવા પોષક તત્વથી વંચિત હોય એવા બાળકોને અમે દૂધ આપીને ભગવાન શિવનો જીવ રાજી તો શિવ આપોઆપ રાજીના મર્મને સાર્થક કર્યો છે.