વાંકાનેર શહેરમાં ભારે વાહનોને પ્રવેશબંધી માંથી ૨૦ સપ્ટેમ્બર સુધી છુટ

૨૧ સપ્ટેમ્બર થી ૧૭ ઓક્ટોબર ૨૦૨૪ સુધી ભારે વાહનોની પ્રવેશબંધી યથાવત રહેશે

વાંકાનેર શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી તેમજ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થે ભારે વાહનોની પ્રવેશબંધી માટે જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડી તા.૧૭ ઓક્ટોબર સુધી પ્રવેશબંધી કરવામાં આવેલ હતી.

હાલ ડેમેજ બ્રિજના રીનોવેશનના કારણે તા.૨૦/૦૯/૨૦૨૪ સુધી ભારે વાહનોને શહેરમાંથી પસાર થવા માટે મુક્તિ આપવામાં આવેલ છે.

સુધારા જાહેરનામા અનુસાર વાંકાનેર શહેરમાં પ્રવેશતા રોડ પર દિવાનપરા અમરસિંહજી બાપુના સ્ટેચ્યૂ ચોકથી માર્કેટ ચોક (પુલ દરવાજા), ભમરીયા કૂવા, લક્ષ્મીપરા ચોક, ધર્મ ચોક, જીનપરા ચોક નેશનલ હાઇવે તરફથી વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહી. રાજકોટ રોડ સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુથી ૨૫ વારીયા લક્ષ્મીપરા ચોક, ધર્મ ચોક, જીનપરા ચોક નેશનલ હાઈવે તરફથી વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહીં. જીનપરા ચોક, નેશનલ હાઇવેથી સીટી સ્ટેશન રોડ ગ્રીન ચોક મેઇન બજાર, ચાવડી ચોક, હરિદાસ રોડ, માર્કેટ ચોક(પુલ દરવાજા), અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ વાંકાનેર શહેરમાંથી બહાર રાજકોટ તરફ જઈ શકાશે નહીં. જીનપરા ચોક નેશનલ હાઇવેથી ધર્મચોક લક્ષ્મીપરા ચોક ૨૫ વારીયા સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ રાજકોટ તરફ જઈ શકાશે નહીં. આ માર્ગો પર તા.૨૧-૦૯-૨૦૨૪ થી તા.૧૭/૧૦/૨૦૨૪ સુધી સવારના-૦૮:૦૦ કલાકથી રાત્રીના-૨૧:૦૦ કલાક સુધી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ અમલવારી ચાલુ રહેશે.

વૈકલ્પિક રૂટ તરીકે રાજકોટ શહેર તરફથી આવતા ભારે વાહનો અમરસર ફાટકથી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ રોડથી દિવાનપરા રોડ થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુથી સરકારી હોસ્પિટલ રોડ થઈ રાતી દેવળી- જડેશ્વર રોડ થઈ રાતી દેવરી ગામની ચોકડીથી પંચાસર રોડ થઈ હસનપર બ્રિજથી નેશનલ હાઇવે તરફ આવી જઈ શકશે. તેમજ મોરબી તરફથી આવતા ભારે વાહનો નેશનલ હાઇવે હસન પર બ્રિજથી પંચાસર રોડ થી રાતી દેવરી ગામની ચોકડીથી રાતી દેવળી  જડેશ્વર રોડથી સરકારી હોસ્પિટલ રોડ થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુથી દિવાનપરા રોડ થઈ બસ સ્ટેન્ડ રોડથી સ્વામી વિવેકાનંદી સ્ટેચ્યુથી રાજકોટ રોડ અમરસર ગામ તરફ આવી જઈ શકશે.

 આ જાહેરનામું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો, ઇમરજન્સી વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને લાગુ પડશે નહિ.