વાંકાનેર પુસ્તક પરબ દ્વારા દાતાઓના સહયોગથી ૪૧ હજાર રૂપિયાના પુસ્તકોની ખરીદી કરાઈ

મોરબી જિલ્લાના વાંકાનેર શહેર ખાતે આવેલા પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે દર મહિનાના પ્રથમ રવિવારે માતૃભાષા અભિયાન અમદાવાદના સહયોગથી વાંકાનેરના શિક્ષકો અને યુવકો દ્વારા નિઃશુલ્ક પુસ્તક પરબ વર્ષ- ૨૦૧૮ થી ચાલી રહ્યું છે. જેનો લાભ સમગ્ર વાંકાનેર તાલુકાના લોકોને મળી રહ્યો છે. નવા પુસ્તકો ખરીદવા માટે વિવિધ દાતાઓ તરફથી રોકડ રકમ સ્વરૂપે દાન મળ્યું હતું. જેમાંથી ૪૧,૦૦૦ રૂપિયાના પુસ્તકોની ખરીદી કરવામાં આવી હતી.

આ ખરીદી તા. ૨૩/૦૮/૨૦૨૪ના રોજ શ્રી સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ભુજ ખાતેથી કરવામાં આવી હતી. વાંકાનેર પુસ્તક પરબને નવા પુસ્તકો ખરીદવા માટે અલ્પેશભાઈ પટેલ તરફથી ૨૦,૦૦૦ રૂપિયા, ડૉક્ટર સતીશભાઈ પટેલ તરફથી ૫,૦૦૦ રૂપિયા, ડૉક્ટર બાદી તરફથી ૨૫૦૦ રૂપિયા, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા તરફથી ૨૫૦૦ રૂપિયા, અમિતભાઈ દેલવાડિયા તરફથી ૨૫૦૦ રૂપિયા, જિતેન્દ્રગિરિ ગોસ્વામી તરફથી ૨૫૦૦ રૂપિયા, જિતેન્દ્રભાઈ પાંચોટિયા તરફથી ૨૫૦૦ રૂપિયા અને નરેન્દ્રભાઈ કાલરિયા તરફથી ૨૫૦૦ રૂપિયાનું દાન આપવામાં આવ્યું.

દાનમાં મળેલ રૂપિયામાંથી બાળ સાહિત્યના પુસ્તકો, નવલકથાઓ, આત્મકથાઓ, નવલિકાઓ, કાવ્ય સંગ્રહો, ધાર્મિક પુસ્તકો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના પુસ્તકો વગેરે પુસ્તકોની ખરીદી કરવામાં આવી હતી. પુસ્તક પરબની ટીમ જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, યજ્ઞેશભાઈ ભટ્ટ, અતુલભાઈ બુદ્ધદેવ, હાર્દિકભાઈ સોલંકી અને ડૉ. ડાહ્યાલાલ પરબતાણી દ્વારા દર મહિનાના પહેલા રવિવારે વાંકાનેર શહેર ખાતે આવેલા પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે નિઃશુલ્ક પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે. પુસ્તક પરબની ટીમ દ્વારા વાંકાનેરના વાચકોને આ નિઃશુલ્ક પુસ્તક પરબના નવા સાહિત્યનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આગામી પુસ્તક પરબ તા.૦૧/૦૯/૨૦૨૪, રવિવારના રોજ યોજાશે.