માળિયાના વીરવિદરકા ગામે મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ખેડૂતો સાથે પાક ધોવાણ બાબતે સંવાદ સાધ્યો

મોરબી જિલ્લામાં ભારે વરસાદ અને પગલે જિલ્લામાં ખેતી પર થયેલ અસર અનુસંધાને મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ અસરગ્રસ્ત ગામોમાંથી વીરવિદરકા ગામની મુલાકાત લઈ ખેડૂતો સાથે વાતચીત કરી હતી.

મોરબી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદ અને મચ્છુ નદીના પૂરના કારણે જિલ્લાના લગભગ વિસ્તારોમાં ખેતરો પાણીમાં ડૂબી ગયા છે જેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં પાકોનું ધોવાણ પણ થયું છે. ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ જાણવા તેમજ પળપળ સાચી સ્થિતિ જાણી તેનું મૂલ્યાંકન કરવાના હેતુથી મંત્રીએ માળીયા તાલુકાના વીરવિદરકા ગામની મુલાકાત લઈ ખેડૂતો તેમજ ગ્રામજનો સાથે વિચારવિમર્શ કર્યો હતો.

ગ્રામજનો સાથે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે હાલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સુચના અનુસાર આજ રેડ એલર્ટ હોવાથી અત્યારે જાનમાલની સલામતી અને ઝીરો કેઝ્યુઅલીટી માટે કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદ બંધ થાય અને પાણી ઓસરવા લાગે એટલે તરત જ ખેતી માટે ખેડૂતોના ખેતરો વગેરેનો સર્વે કરવામાં આવશે અને સર્વે બાદ સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે. ઉપરાંત વીજ પુરવઠા વિશે પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્થિતિ સામાન્ય થતા જ બંધ થયેલા તમામ ફીડરો પૂર્વવત કરી દેવામાં આવશે. ઉપરાંત હાલ પણ પીજીવીસીએલની ટીમ્સ ખોરવાયેલો વીજ પુરવઠો પૂર્વરત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.