મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પહોંચ્યા માળીયા સામખિયાળી હાઈવે પર અસરગ્રસ્ત સ્થળે

હાઇવે પર જ્યાં પાણી ચડવાના કારણે વાહન વ્યવહાર બંધ થયો તે સ્થળે પહોંચી મંત્રીએ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું

મોરબી જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદ અને આજના દિવસે પણ રેડ એલર્ટને પગલે જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા મોરબી જિલ્લામાં સ્થિતિનું નિરીક્ષણ કરી સમીક્ષા કરી રહ્યા છે. ત્યારે મંત્રીશ્રી માળીયાના હરીપર પાસે સામખિયાળી થી માળીયા હાઈવે પર જ્યાં મચ્છુ નદીના પાણી ચડવાના કારણે નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવ્યો છે, તે સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

મંત્રીશ્રીએ સ્થળ પર પહોંચી ત્યાં ફરજ પરના અધિકારીઓ સાથે રસ્તા પર પાણી ચડ્યા બાદ કેવી સ્થિતિ સર્જાઈ, કેવી રીતે લોકો ફસાયા, તેમને રેસ્ક્યું કેવી રીતે કરાયું, હાલ પાણીનું લેવલ, સંભવિત કેટલા સમયે વાહન વ્યવહાર ફરી શરૂ કરી શકાય એમ છે વગેરે બાબતે ચર્ચા કરી હતી

આ મુલાકાત દરમિયાન મંત્રી સાથે મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, જિલ્લા પુરવઠા અધિકારી સંદિપ વર્મા, માળીયા મામલતદાર કે.વી. સાનિયા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.