વાંકાનેરના કાનપર ગામે એનડીઆરએફની ટીમ દ્વારા ૫ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું

વાંકાનેરના કાનપર ગામે મજૂરીએ ગયેલા પરપ્રાંતીય મજુર તેમની પત્ની અને ત્રણ બાળકો સાથે વાડીએ ફસાયા હતા. જે વાડી પર તેઓ મજૂરી માટે ગયા હતા ત્યાં રહેવા જમવાની કોઈ વ્યવસ્થા નહોતી. વરસાદને પગલે આ ખેતરની આગળ આવેલ વોંકળામાં પાણી આવી જતા આ પરિવાર ખેતરમાં જ ફસાયો હતો. વહીવટી તંત્ર ને ધ્યાને આવતા વાંકાનેર સ્થાનિક અધિકારીઓ એન.ડી.આર.એફ.ની ટીમ સાથે ત્યાં પહોંચી ગયા હતા.

ખૂબ જહેમત બાદ પરિવારના પાંચે સભ્યોનો આબાદ બચાવ થયો છે. આ બચાવ કામગીરીમાં એન.ડી.આર.એફ.ની ટીમ સાથે વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીના માર્ગદર્શન હેઠળ મામલતદાર યુ.વી કાનાણી તથા તાલુકા વિકાસ અધિકારી રિઝવાન કોંઢીયા સહિત અધિકારી/કર્મચારીઓ જોડાયા હતા.