મોરબી-કચ્છ નેશનલ હાઈવે પર માળીયાના ખીરઈ નજીક ડામર પાથરી રોડ રીપેર કરાઈ રહ્યો છે

વરસાદ બંધ થતા જ તાત્કાલિક ધોરણે પેચ વર્ક કરી રોડ શરૂ કરી દેવાયો હતો; હાલ ડામર પાથરવાની કામગીરી ચાલુ

      મોરબી જિલ્લામાં વરસાદમાં ધોવાયેલા માર્ગોનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અન્વયે માળીયાના ખીરઈ પાસે મોરબી કચ્છ નેશનલ હાઈવે વરસાદી પાણીના પ્રવાહથી ધોવાયો હતો જે હાલ મહદ્અંશે રીપેર કરાવી દેવાયો છે.

      મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે રોડ રસ્તાઓને વ્યાપક નુકસાન થયું હતું, મચ્છુ નદીના પગલે મોરબી-કચ્છ નેશનલ હાઇવે પર બંધ કરી દેવામાં આવેલો વાહન વ્યવહાર વરસાદ બંધ થતાં તાત્કાલિક ધોરણે ચાલુ કરી દેવાયો હતો. વરસાદ બંધ થતાં જ મોરબી-કચ્છ નેશનલ હાઈવે રિપેર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. રોડ ધોવાઈ જતા ત્યાં ઉખડી ગયેલા ડામરની હટાવી રોડ સમતળ કરી ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી રહી છે, લગભગ સ્થળોએ સમારકામ કરી દેવામાં આવ્યું છે.

      રાજ્ય સરકારની સૂચના અંતર્ગત સમગ્ર રાજ્યમાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યાર મોરબી જિલ્લામાં પણ વહીવટી તંત્ર ત્વરિત પગલે કામગીરીમાં જોડાઈ ગયું હતું, જેના પગલે હાલ લગભગ કામગીરી પૂર્ણતાના આરે છે.