શ્રાવણ માસમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપની અવિરત સેવા: સહકાર બદલ હેતલબેન પટેલે સભ્યોને કરાવ્યો પ્રવાસ

મોરબી: શ્રાવણ મહિનો એટલે મહાદેવનો મહિનો. શ્રાવણ મહિનો એટલે હિંદુ ધર્મનો સૌથી પવિત્ર મહિનો. શ્રાવણ મહિનો એટલે સેવા, પુજા, પાઠ અને ઈશ્વરની આરાધનાનો મહિનો ગણવામાં આવે છે. ત્યારે મોરબીમાં સેવાનું પર્યાય એવું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા શ્રાવણમાસના પ્રારંભથી જ મોરબીના સ્લમ વિસ્તારોમાં બાળકો તથા લોકોને જમાડવાનો યજ્ઞ શરૂ કર્યો હતો. જેમાં દરરોજ ખીચડી, દાળ-ભાત, પવા બટેકા, વધારેલા ભાત, શીરો સહિતનું ભોજન કરાવી આનંદ લુટ્યો હતો. આ સેવાકાર્ય અનસ્ટોપેબલ વોરીયર્સના પ્રમુખ હેતલબેન પટેલ સહિત ગ્રુપની બહેનો તથા ભાઈઓ જોડાયા હતા.

ત્યારે આ સેવાકાર્યમાં જોડાઈ સહકાર આપનાર ભાઈઓ-બહેનો માટે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ દ્વારા એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના 50થી વધુ સભ્યોએ સોમનાથ મહાદેવ, જૂનાગઢ ભવનાથ તળેટી, જટાશંકર મહાદેવ, પરબ વાવડી, ખોડલધામ (કાગવડ), શ્રી રામ ચરિત માનસ મંદિર રતનપર (યાત્રાધામ) સહિતના ધાર્મિક સ્થળોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પ્રવાસમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વડીલોએ પણ દર્શન કરવાનો લાભ લીધો હતો.

હેતલબેન પટેલે આ તકે જણાવ્યું હતું કે, અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અને શ્રાવણમાસના પવિત્ર મહિનામાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા મોરબીના જુદા-જુદા સ્લમ વિસ્તારોમાં બાળકો સહિત લોકોને ભોજન પહોચાડવાનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. આ સેવાયજ્ઞમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપની બહેનો સતત ખડેપગે રહીને સેવા આપી હતી. સાથે વરસાદને પગલે અનેક અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ પહોચી ગ્રુપે ભોજનની વ્યવસ્થા કરી હતી. અને આવનાર દિવસોમાં પણ ગ્રુપ સેવાકીય કાર્ય કરતું રહેશે.