મોરબી : પીપળીયા ચાર રસ્તા થી માળીયા નેશનલ હાઈવે સુધીનો રોડ ૫ ઓક્ટોબર સુધી ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધિત

માળીયા-પીપળીયા સ્ટેટ હાઈવેમાં ભારે વરસાદના કારણે નુકશાની થયેલ ઘોવાથી મેજર પુલની તાંત્રિક ચકાસણી કરવામાં આવેલ અને પુલના એક ભાગમાં પ્રાથમિક દ્રષ્ટિ સેટલમેન્ટ જોવા મળેલ હોવાથી પુલની વિગતવાર બેરીંગ તથા પિયર ચેક કરવા જરૂરી હોવાના કારણે પીપળીયા ચાર રસ્તા થી માળીયા નેશનલ હાઇવે સુધી ભારે વાહનોના પ્રતિબંધ અંગેનુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર તા.૦૫/૧૦/૨૦૨૪ સુધી પીપળીયા ચાર રસ્તા થી માળીયા નેશનલ હાઇવે સુધી ભારે વાહનો પસાર થવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે .આ રસ્તાના વૈકલ્પિક રસ્તા તરીકે જામનગર જવા માટે અમદાવાદ/કચ્છ તરફથી આવતા વાહન વ્યવહાર હાલ માળીયા થી પીપળીયા રસ્તાની જગ્યાએ માળીયા થી મોરબી ટંકારા/આમરણ ધ્રોલ લતીપર વાળા રસ્તાનો ઉપયોગ કરશે. જામનગર આમરણ તરફથી આવતા વાહનો કચ્છ તરફ જવા માટે પીપળીયા ચાર રસ્તા થી નવલખી ફાટક થી રવીરાજ ચોકડી થી માળીયા/કચ્છ તરફ જઇ શકાશે.

આ જાહેરનામાની જોગવાઇઓના અમલમાંથી સરકારી વાહનો, નગરપાલિકાના વાહનો, પી.જી.વી.સી.એલ.ના વાહનો, સબ વાહીની, એમ્બ્યુલન્સ, ફાયર ફાયટર, સ્કુલ/કોલેજના વાહનો, સામાજિક/ધાર્મિક પ્રસંગોને લગત ભારે વાહન, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને મુક્તિ આપવામાં આવી છે.