માળિયાના વવાણીયા ખાતે સેવા સેતુની સાથે સ્વચ્છતા રેલી અને વૃક્ષ રથનું આયોજન કરાયું

લોકોના પ્રશ્નોનું ઘર આંગણે નિરાકરણ કરવા સેવા સેતુ, મોરબીને સ્વચ્છ અને સુઘડ બનાવવા સ્વચ્છતા હી સેવા તથા પર્યાવરણની જાળવણી માટે એક પેડ મા કે નામ હેઠળ વૃક્ષારોપણ એમ કાર્યક્રમનો ત્રિવેણી સંગમ સરીખા ત્રિવિધ કાર્યક્રમોનું સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે માળીયા તાલુકાના વવાણીયા ગામે સેવા સેતુ કાર્યક્રમની સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેવા સેતુની સાથે શાળાના બાળકો દ્વારા લોકોને સ્વચ્છતા માટે જાગૃતિ સંદેશ મળે તે હેતુથી સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ સ્વચ્છતા માટે શ્રમદાન કરી સ્વચ્છતા અંગેના શપથ પણ લીધા હતા. ઉપરાંત વન વિભાગ દ્વારા એક પેડ મા કે નામ અભિયાન અન્વયે વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા લોકોને રોપાઓનું વિતરણ કરવા માટે વૃક્ષ રથનું સવિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેના દ્વારા ઉપસ્થિત લોકોને રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.