હળવદ : મયુરનગર ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં તમામ ૧૧૦૮ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો

૨૧ ગામના ૧૧૦૮ લોકોએ વિવિધ વિભાગની જરૂરી સેવાઓનો સ્થળ જ પર સરળતાથી લાભ મેળવ્યો

મોરબી જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં લોકપ્રશ્નોના નિરાકરણ માટે વહીવટી તંત્ર દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી છે. હળવદ તાલુકામાં મયુરનગર ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ૨૧ ગામના ૧૧૦૮ લોકોએ વિવિધ જરૂરી સેવાઓ માટે અરજી કરી હતી. આ તમામ અરજીઓનો વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ પોઝિટિવ એપ્રોચ સાથે નિકાલ કરવામાં આવ્યો હતો.

હળવદના મયુરનગર ગામે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા ૧૩ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જ્યાં તમામ વિભાગની કુલ ૫૫ જેટલી સેવાઓ લોકોને એક જ સ્થળે મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો લોકોએ બહોળો લાભ લીધો હતો.

આગામી ૪ ઓક્ટોબરના રોજ હળવદ તાલુકાના માથક ગામે પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ક્લસ્ટર હેઠળના ૨૩ ગામના લોકો જરૂરી સેવાઓ એક જ સ્થળેથી મેળવી શકશે.