મોરબીના બાગાયતદાર ખેડુતો વિવિધ સહાયનો લાભ મેળવવા માટે અરજી કરી શકશે

રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪- ૨૫ માટે નવી સહાયલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેમ કે કેળ (ટીસ્યુ), પપૈયા, આંબા, જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાકો, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી, કમલમ ફળ વાવેતરમાં સહાય, નેટ હાઉસ નળાકાર સ્ટ્રકચર, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ, નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય, ઈન્ટીગ્રેટેડ કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ, મધમાખી સમુહ તથા મધમાખી હાઈવ, હની એક્ષ્ટ્રેક્ટર તેમજ અન્ય બીજા ઘટકોમાં સહાય મેળવવા માટે ઈચ્છુક ખેડુતો ઓનલાઈન અરજી કરી શકશે.

ઉપરોક્ત જણાવેલ યોજનાઓ થકી લાભાન્વિત બનવા માટે આગામી તારીખ ૧૫/૧૦/૨૦૨૪ સુધી આઈ- ખેડુત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતો ઉપરોક્ત ઘટકોમાં સહાય મેળવવા માટે http://ikhedut.gujarat.gov.in આ વેબસાઈટ પર અરજી કરી શકશે.

અરજીની પ્રિન્ટ નકલ સાથે જરૂરી સાધનિક કાગળો જેવા કે નવા ૭- ૧૨, ૮- અ, આધારકાર્ડની નકલ, બેંક પાસબુક/ રદ કરેલ ચેકની નકલ, જાતિનું પ્રમાણપ્રત્ર (અનુસૂચિત જાતિ માટે) વગેરે સાથે જોડીને રૂબરૂ કે ટપાલના માધ્યમથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૨૨૬- ૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી- આ સરનામાં પર તાત્કાલિક ધોરણે મોકલી આપવાનું રહેશે. તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.