મોરબીમાં વિકાસ સપ્તાહના અંતિમ દિવસે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

લોકગાયકોએ ‘આવતી કળાય’, ‘કસુંબીનો રંગ’, ‘રામ આયેંગે’ વગેરે સુપ્રિસદ્ધ ગીતોની રમઝટ બોલાવી

દેશના  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ અને સુશાસનના 23 વર્ષ તાજેતરમાં પૂર્ણ થયા છે. જેની સમગ્ર રાજ્યમાં ભારે ઉલ્લાસ અને આનંદ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સંયુક્ત ઉપક્રમે મોરબીમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં લોક ગાયક દેવેન વ્યાસ અને તેમની ટીમ દ્વારા કસુંબીનો રંગ, મેરે ઘર રામ આયેંગે, કોઈનો લાડકવાયો, દ્વારિકાનો નાથ, રંગતાળી રે, ભારત કા બચ્ચા બચ્ચા, ગિરિધારી રે, અમે મહિયારા રે વગેરે જાણીતા ગુજરાતી લોકગીતો અને સુગમ સંગીત રજૂ કરવામાં આવ્યું હતું. ઢોલ નગારાના તાલે બાળકો ઝૂમી ઉઠયા હતા. ઉલ્લેખનીય છે કે, આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વરચિત માતાજીનું સ્તુતિ ગીત ”આવતી કળાય રે” ઈન્ટરનેટ પર વાયરલ બન્યું છે. આ ગીત પર બાળાઓએ સુંદર રાસ રજૂ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ધારાસભ્યર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, પ્રાંત અધિકારીશ્ર સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, ડેપ્યુટી કલેકટર સુબોધકુમાર દુદખીયા, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હીરલ વ્યાસ સહિતના અધિકારીગણ, અન્ય કર્મચારીઓ, સંસ્થાના સ્ટાફ મિત્રો, લોક કલાકારો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.