મકાન ભાડે આપનારે પરપ્રાંતીય ભાડુઆત/ખેતમજૂરો/ઘરઘાટીની વિગતો આપવાની રહેશે
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર, મોરબી દ્વારા મોરબી જિલ્લામાં કાર્યરત તમામ કારખાનેદારો, મકાન બાંધકામ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતીકામ તથા ફેકટરીઓમાં, વેપાર-ધંધામાં મજૂર, શ્રમિક કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.





આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ફેકટરી ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલિકો અને મેનેજમેન્ટ ટીમ કે જેઓના વર્કિંગ યુનિટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી કે કોન્ટ્રાકટના કર્મચારીઓ, કારીગરો/શ્રમિકોની માહિતી તૈયાર કરીને જે-તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં આગામી તારીખ ૧૪/૦૨/૨૦૨૫ સુધીમાં આપવાની રહેશે. આ ઉપરાંત જે-તે પોલીસ સ્ટેશન દ્વારા આ તમામ માહિતી મેળવીને તેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે અને જરૂર પડ્યે તપાસ અર્થે તે રજીસ્ટર પૂરું પાડવાનું રહેશે.
જેમાં કામે રાખેલ કર્મચારી/કારીગર/શ્રમિક/ખેત શ્રમિક/ભાગીયા/ઘરઘાટી/ચોકીદાર તથા મકાન ભાડે રાખનાર પરપ્રાંતીય વ્યક્તિના માન્ય ઓળખકાર્ડ/ચુંટણીકાર્ડ/ડ્રાઇવીંગ લાઇસન્સનો પુરાવો, મુળ તેઓ ક્યાંના રહેવાસી છે તે વતનના પુરા સરનામા તથા હથિયાર ધરાવતા હોય તો તે સહિતની વિગતો નિયત નમૂના પત્રકમાં ભરીને તૈયાર કરીને આપવાની રહેશે.
આ ઉપરાંત અન્ય રાજ્યો/દેશમાંથી આવેલા વ્યક્તિને મકાન/કોલ્ડ સ્ટોરેજ/ઔદ્યોગિક એકમ/શેડ/કારખાના/દુકાન/ગોડાઉન/ખુલ્લા પ્લોટ/અન્ય તમામ મિલકતો ભાડા પેટે આપવામાં આવે ત્યારે મૂળ મકાન માલિકનું નામ, રહેઠાણનું સરનામું, જે મકાન ભાડે આપેલું હોય તે મકાનનું નામ, સરનામું, ભાડે આપ્યાની તારીખ વગેરે વિગતો સહિતનું નિયત નમૂનાનું ફોર્મ ભરીને જે-તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે. તેમજ આ વ્યક્તિની ભલામણ કરનારા બે વ્યક્તિઓની તમામ વિગતો પણ આપવાની રહેશે.
આ ઉપરાંત મોરબી જિલ્લા વિસ્તારની સલામતી અને શાંતિ જળવાઈ રહે તે માટે શ્રમિકો/કારીગરોની માહિતી સાચી અને સરળતાથી મળી રહે તે માટે એપલ ફોન માટે http://apps.apple.com/us/app/morbi-assured/id1557232449 વાળી લીંક પર અથવા એન્ડ્રોઈડ ફોન માટે http://play.google.com./store/apps/details?id=com.morbi_eye આ લીંક પરથી એપ્લિકેશન ઈન્સ્ટોલ કરીને કારખાનેદર અથવા ફેકટરીના માલિકોએ તેમને ત્યાં કામ કરતા જે-તે માલિકોના શ્રમિકોનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરાવવાનું રહેશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ નિયમ અનુસાર શિક્ષાને પાત્ર બનશે.
મોરબી જિલ્લાના તમામ કારખાનેદાર/ફેકટરીના માલિકોએ તેમજ કામ કરતા જે-તે માલિકોએ મજુરોનું ફરજિયાતપણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ જાહેરનામું આગામી તારીખ ૩૧/૦૩/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. મોરબી જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ, નિગમ, સરકારી સંસ્થાઓ, સરકારી ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાના અધિકારીઓ, કર્મચારીઓને આ જાહેરનામું લાગુ પડશે નહીં.
