ફાર્મ રજીસ્ટ્રી આઈ.ડી.માં નોંધણી નહીં કરાવનાર ખેડૂતોનો પી.એમ. કિસાન સન્માન નિધિનો આગામી ૨૦ મો હપ્તો થશે બંધ
મોરબી જિલ્લામાં ફાર્મ રજીસ્ટ્રી આઈ.ડી.માં PM-KISAN યોજનાના ૭૭,૫૭૪ લાભાર્થીઓ પૈકી ૬૬,૫૭૭ લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પી.એમ. કિસાન યોજનાના લાભાર્થીની પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના રૂ.૨૦૦૦/- ના આગામી ૨૦ માં હપ્તા માટે ખેડૂત નોંધણી ફરજીયાત કરવામાં આવી છે. જો આપ આગામી હપ્તાનો લાભ મેળવવા માંગતા હોય તો ખેડૂત નોંધણી કરાવવી આવશ્યક છે અન્યથા આપનો આગામી હપ્તો બંધ થઇ શકે છે.



ભારત અને ગુજરાત સરકારના સયુંકત પ્રયાસ થકી રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ દરેક ખેડૂત માટે અગિયાર અંકોની એક યુનિક ફાર્મર આઈડી (ફાર્મર આઈડી) બનાવવામાં આવશે. આ નોંધણી વન ઇન લાઈફ ટાઇમ (જીવન પર્યંત એક જ વાર) કરાવવાની રહે છે. પી.એમ.કિસાન યોજના હેઠળ અગામી હપ્તા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજીયાત કરવામાં આવી છે. આજ દિન સુધી મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ૧૧,૧૭૫, માળીયા તાલુકામાં ૯,૭૭૫, મોરબી તાલુકામાં ૨૨,૧૯૪, ટંકારા તાલુકામાં ૧૦,૪૦૦ તેમજ વાંકાનેર તાલુકાના ૧૩,૦૩૩ ખેડૂતો મળીને સમગ્ર જિલ્લામાં કુલ ૬૬,૫૭૭ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
ખેડૂત નોંધણી ક્યાંથી કરાવી શકાશે એ વિશે વાત કરીએ તો, આપના ગામમાં ગ્રામ પંચાયત ખાતે ઈ-ધરા કેન્દ્ર પર VCE (કમ્પ્યુટર ઓપરેટર) મારફત કરી શકાશે અથવા ખેડૂત ખાતેદાર પોતાની જાતે https://gifr.agristack.gov.inફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર જઈને સેલ્ફ રજીસ્ટ્રેશન થકી પોતાની ખેડૂત નોંધણી કરી શકશે. ખેડૂત નોંધણી માટે જમીનનો સર્વે નંબર (૭/૧૨ અને ૮/ અ ની નકલ), આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ ફોન નંબર અને આધાર કાર્ડની ઝેરોક્ષ સહિત જરૂરી આધાર પુરાવાઓ સાથે રાખવાના (જે જમા કરાવવાના રહેશે નહિ). જમીનના સર્વે નંબર (૭/ ૧૨ અને ૮/ અ) માં સામેલ તમામ સયુંકત ખાતેદારોની ખેડૂત નોંધણી કરાવવી ફરજીયાત છે.
આ અંગેની વધુ વિગતો માટે ગામના તલાટી કમ મંત્રી/ સીટી તલાટી, ગ્રામ સેવક તેમજ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી), તાલુકા વિકાસ અધિકારી અથવા તાલુકા મામલતદારશ્રીનો સંપર્ક કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
