હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.૦૯-૦૫-૨૦૨૫ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાતાવરણમાં પલટો જોવા મળવાની સંભાવના છે, જેના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને પાકના રક્ષણ માટે તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડૂતો માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક/ ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્યરીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂતમિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા તથા એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી.



આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટર ટોલફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
