યંગ ઇન્ડિયા ગ્રુપની સંકટ સમયે માનવતા જીવંત : ભારે વરસાદના અસરગ્રસ્તોને ગરમ ભોજન પીરસાયું

સતત વરસાદના કારણે ઝૂંપટપટ્ટી સહિતના વિસ્તારોમાં અસંખ્ય સામાન્ય પરિવારને ભોજન બનાવવું મુશ્કેલ હોવાથી આવા સંકટ સમયે કોઈ ભૂખ્યું ન સુવે તેવી નેમ સાથે તમામ અસરગ્રસ્તોની જઠરાગ્નિ ઠારી

મોરબી : મોરબી શહેરમાં છેલ્લા 24 કલાકથી અવિરત પડી રહેલા ભારે વરસાદે ઝૂંપડપટ્ટીઓ અને વંચિત વિસ્તારોના નાગરિકોનું જનજીવન ખોરવી નાખ્યું છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ભોજન બનાવવું અને ચૂલો પ્રગટાવવો સામાન્ય લોકો માટે અત્યંત મુશ્કેલ બની ગયું છે.તેથી આવા સંકટના સમયે મોરબી યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને ગરમ અને પૌષ્ટિક ભોજનનું વિતરણ કરવાની પહેલ કરવામાં આવી છે, જેથી અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત મળી શકે. જ્યાં સુધી ભારે વરસાદથી જનજીવન થાળે ન પડે ત્યાં સુધી આ ભારે વરસાદના તમામ અસરગ્રસ્તો ભોજનની સેવા આપવાની યંગ ઇન્ડિયા ગ્રુપે નેમ વ્યક્ત કરી છે.

મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપના મેન્ટોર ડો. દેવેન રબારીએ જણાવ્યું હતું કે: કોઈપણ માનવીને મદદની ત્યારે જ જરૂર પડે જ્યારે તેની કુદરતે કસોટી કરી હોય. આવી જ પરિસ્થિતિ હાલ ઉદભવી છે. જેમાં મોરબીમાં સતત ભારે વરસાદ પડતો હોવાથી શહેરના પુલ નીચેના ઝૂંપટપટ્ટી વિસ્તારોને અગમચેતી રૂપે ખાલી કરીને આ સામાન્ય લોકોને અન્યત્ર ખસેડી દેવામાં આવ્યા છે. આવી રીતે અન્ય અન્ય વિસ્તારોના સામાન્ય લોકો પણ ભારે વરસાદથી પ્રભાવિત થયા છે. સામાન્ય દિવસોમાં પણ આવા લોકોને બે ટંક ભીજન માટે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આજે વરસાદમાં ભૂખ્યા સૂવું પડે તેવી નોબત આવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થતા અંતે તેમની આ મુશ્કેલભરી પરિસ્થિતિ જોઈને યંગ ઇન્ડિયા ગ્રુપ તેમની વ્હારે જઈને માનવતાને દર્શાવી હતી.આ વરસાદની કુદરતી આફતના સમયે અસરગ્રસ્તોને ગરમ પણ પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ કાર્યકરોએ વરસતા વરસાદમાં ભોજન બનાવી અસરગ્રસ્ત લોકોને વિતરણ કર્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપના સેવા અભિયાન અંતર્ગત યુવાનોની ટીમ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી, નદીકાંઠા અને બાંધકામ સાઇટ નજીક તથા મોરબીમાં આવેલ પ્રવાસીઓ માટે નવા બસ સ્ટેન્ડ તથા જુના બસ સ્ટેન્ડ સહિત નજીક વસતા શ્રમિક પરિવારો સુધી પહોંચીને ગરમ ભોજન તથા ભોજન પેકેટો વિતરણ કરાયા હતા. લોકોને માત્ર ભોજન જ નહીં, એક માનવિય ઉમંગ અને આશાનો સંદેશ પણ મળ્યો છે. આ સેવાપ્રેરિત અભિયાન યંગ ઈન્ડિયા ગ્રૂપના ધ્યેય “સક્રિય યુવા, સતર્ક સમાજ” નું જીવંત ઉદાહરણ છે. યંગ ઈન્ડિયા ગ્રુપ સમાજના તમામ વર્ગોને આવા માનવીય કાર્યોમાં સહભાગી થવા અને વિપદાના સમયે એકબીજાની મદદ કરવા અપીલ કરે છે. આ કાર્ય દ્વારા ગ્રુપે એ દર્શાવ્યું છે કે સામૂહિક પ્રયાસો દ્વારા કોઈપણ સંકટનો સામનો કરી શકાય છે.