મોરબી જિલ્લાના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર એનાયત

વાંકાનેર તાલુકાના ખીજડીયા, હોલમઢ, ધમાલપર ગામના આયુષ્માન આરોગ્ય મંદિરોની વિવિધ આરોગ્ય સેવાઓની ઉપલબ્ધિની રાષ્ટ્રીયસ્તરે નોંધ લેવાઇ

પ્રાથમિક આરોગ્ય ચકાસણી, માતૃત્વ – શિશુ-કિશોર આરોગ્ય સેવાઓ, કુપોષણ નિવારણ, કુટૂંબ ક્લ્યાણ, ચેપી – બિન ચેપી રોગોનું નિદાન સારવાર, ઇમરજન્સી સેવાઓ, આયુષ – યોગ પધ્ધતીઓની સેવાઓ, શાળાના આરોગ્ય તપાસણી ને સારવારના માપદંડોમાં અગ્રેસર

વોટર હાર્વેસ્ટિંગ, સ્વચ્છતા, ફાયર સેફ્ટી, પેરા મેડીકલ સ્ટાફને તાલીમની પણ સુવિધા

ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરોને બાર સર્વિસ પેકેજ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ સિધ્ધિ જિલ્લામાં આરોગ્ય સેવાઓની ગુણવતા અને પ્રભાવશીલતાનું ઉન્નત સ્તર પ્રદર્શીત કરે છે.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં કેંદ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નેશનલ એસેસરો દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા આપવામાં આવતી વિવિધ આરોગ્ય સેવાઓ જેવી કે પ્રાથમિક આરોગ્ય ચકાસણી, માતૃત્વ સેવાઓ જેમ કે ગર્ભવતી મહિલાઓ માટે સક્રિય દેખરેખ અને સલાહ તેમજ બાળ અને શિશુ આરોગ્ય સેવાઓ જેમ કે બાળકોના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી આરોગ્ય સેવાઓ, કુપોષણ નિવારણ, કુટૂંબ ક્લ્યાણ, કિશોર આરોગ્ય સંભાળ, ચેપી અને બિન ચેપી રોગોનું નિદાન અને સારવાર, ઇમરજન્સી આરોગ્ય સેવાઓ, માનસિક આરોગ્ય અને તણાવ નિયંત્રણ માટે માર્ગદર્શન, આયુષ & યોગ પધ્ધતીઓ દ્વારા આરોગ્ય સેવાઓ, શાળાના બાળકો માટે આરોગ્ય ચેક અપ અને સારવાર વગેરે માટે નિયમિત ગુણવતા ચકાસણી,દર્દી કેંદ્રીત સેવાઓની ઉપલબ્ધ્તાઓ,સ્ટાફની કામગીરી અને આ બાબતે જાણકારી અને અન્ય તમામ માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી.

જેમાં વાંકાનેર તાલુકાના ખીજડીયા – ૯૫.૧૬%, હોલમઢ – ૯૫.૯૭% અને ધમાલપર – ૯૪.૩૫% સાથે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે.

આ તકે મોરબી જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો.હાર્દિક રંગપરિયાએ જણાવેલ કે આ સિધ્ધિ આરોગ્ય કેંદ્રોમાં સારા મેનેજમેન્ટ, સુસજ્જ સુવિધાઓ અને સમર્પિત આરોગ્ય કર્મચારીઓની મહેનતનું પરિણામ છે અને ભવિષ્યમાં પણ મોરબી જિલ્લાના અન્ય વધુ આયુષ્માન આરોગ્ય મંદિરો નેશનલ લેવલે પ્રમાણીત થાય તે માટે કાર્યવાહી ચાલુ છે.

આ આનંદના માહોલમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.શ્રીવાસ્તવે તમામ સ્ટાફને શુભેચ્છઓ પાઠવીને જણાવેલ કે આગામી સમયમાં વધુ આરોગ્ય કેંદ્રો આ સ્તર સુધી પહોંચે તે માટે કાર્ય કરવા માટે પ્રતિબધ્ધ્તા વક્ત કરી છે.

આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ દ્વારા જિલ્લા આરોગ્ય તંત્ર અને વાંકાનેર તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી ડો.આરીફ શેરશિયા તથા મેડિકલ ઓફિસરો ડો.સાહિસ્તા કડીવાર,ડો.પુષ્પરાજસિંહ જાડેજા અને ડો.શાહિના અંસારી તથા આયુષ્માન આરોગ્ય મંદિરોના તમામ સ્ટાફ્ને આ સિધ્ધી બદલ શુભેચ્છાઓ પાઠવી અને જણાવેલ કે આરોગ્ય ક્ષેત્રે વધુ સુધારણા કરી અને આ પ્રકારના ગુણવતા માપદંડો પ્રાપ્ત કરે તે માટે સરકાર અને આરોગ્ય તંત્રના સંયુક્ત પ્રયત્નો સતત ચાલુ રહેશે.