‘નારી વંદન ઉત્સવ સપ્તાહ’ અન્વયે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને આર્યવર્ત એજ્યુકેશન એકેડમી, લક્ષ્મીનગર ખાતે મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે વિશિષ્ટ મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખએ દીકરીઓને પગભર થઈ આર્થિક રીતે સ્વાવલંબી બનવાની સાથે સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું જતન રાખી જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરણાત્મક સંદેશો આપ્યો હતો.





નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.સી. ભટ્ટએ ઉપસ્થિત દીકરીઓને જણાવ્યું હતું કે “શિક્ષણ એ સ્વાવલંબનનું પ્રથમ પગથિયું છે, દરેક દીકરીએ શિક્ષણ દ્વારા પોતાના માટે નવી દિશાઓ શોધવી જોઈએ અને ખરા અર્થમાં સ્વાવલંબી બનવું જોઈએ”. જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી. ત્રિવેદી દ્વારા મહાનુભાવો નું શાબ્દિક સ્વાગત કરી દીકરીઓને આ સપ્તાહની ઉજવણી અંગે માહિતગાર કર્યા હતા.
ઉપસ્થિત દીકરીઓ માટે વિવિધ એજન્સીઓ અને કંપનીઓ દ્વારા ઈન્ટરવ્યૂ પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે મહિલાઓને ઔદ્યોગિક યોજનાઓ, રોજગારલક્ષી યોજનાઓ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગની મહિલાલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
