મોરબીમાં મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કેમ્પ યોજાશે

શું તમારું વજન વધારે છે? વજન ઘટાડવા માંગો છો? તો આ સોનેરી તકનો લાભ લો

સરકારના FIT INDIA મૂવમેન્ટ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૦ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર દરમિયાન મેદસ્વિતા મુક્ત અભિયાન અંતર્ગત ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમનું વજન વધારે છે અને મેદસ્વિતાનો શિકાર બન્યા છે તેવા લોકો વજન ઘટાડવા અને મેદસ્વિતાને નિયંત્રણમાં લાવવા તથા તેના નિવારણ માટે આ સોનેરી તકનો લાભ લઈ શકે છે.

આ કેમ્પ ૧૦ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર દરમિયાન ડોલ્સ એન્ડ ડુડેસ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ, સ્કાયમોલ પાસે, ઉમિયા સર્કલ, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે. આ કેમ્પ તમારા તનના ભાર સાથે સાથે મનનો ભાર ઘટાડી સ્વસ્થ, સુખી અને આનંદમય જીવન સાથે જોડશે.

મેદસ્વિતા એ માત્ર શરીરની ચરબી વધવાની સમસ્યા નથી, પરંતુ તે હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ઘૂંટણ દર્દ, કમર દર્દ, કેન્સર અને અન્ય ગંભીર રોગોનું મુખ્ય કારણ બની શકે છે. આધુનિક જીવનશૈલી, અસંતુલિત આહાર અને શારીરિક સક્રિયતાના અભાવના કારણે આજની પેઢી વધુ મેદસ્વિતા તરફ ધકાયેલ છે. WHO – (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) એ મેદસ્વિતાને વર્ષ ૧૯૯૭ માં ‘ગ્લોબલ હેલ્થ પેન્ડેમિક જાહેર કરી છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભા સત્રમાં સ્વસ્થ ગુજરાત-મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનની ઘોષણા કરી છે.

આજની જીવનશૈલીમાં તેલ, ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ (કોલ્ડડ્રિક્સ, જંકફૂડ) વધુ પ્રમાણમાં લેવાથી, શારીરિક કસરત અને ફિટનેસના અભાવથી, વધુ કેલેરીવાળા અને અસંતુલિત આહાર થી તથા તણાવ અને અનિયમિત જીવનશૈલી, કુટુંબમાં મેદસ્વિતાનો ઇતિહાસ અને હોર્મોનલ અસંતુલન (થાઈરોઈડ, ડાયાબિટીસ) ના કારણે લોકોને મેદસ્વિતાનો સામનો કરવો પડે છે.

યોગ કેમ્પમાં પૂર્ણ સમય હાજર રહેનારને જ સંપૂર્ણ લાભ મળશે. કેમ્પમાં નિયમિતતા રહે તે માટે ટોકન સ્વરૂપે રૂ.૩૦૦ રજીસ્ટ્રેશન ફી લેવામાં આવશે. બાકી સમગ્ર કેમ્પ નિઃશુલ્ક છે. વધુ વિગત માટે દેવાંશ્રી બેન પરમાર – 9033643781, વૈશાલીબેન પરમાર – 8160916882 તથા કલ્પના બેન પટેલ – 9924717167 નો સંપર્ક કરવો.